બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને શિવસેનાના 34 અને 8 અપક્ષ ધારાસભ્યો પોતાની સાથે હોવાનો દાવો કર્યો છે.
બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેનો મુખ્યમંત્રીને પત્ર
પત્રમાં એકનાથ શિંદેનો 42 ધારાસભ્યો સાથે હોવાનો દાવો
અઢી વર્ષ સુધી વર્ષા બંગલોના દરવાજા અમારા માટે બંધ હતા: શિંદે
એકતરફ મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. એવામાં બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. હોટલમાં ઉપસ્થિત ધારાસભ્યોના સમર્થન સાથે ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પત્ર લખ્યો છે. પત્રમાં શિંદેએ પોતાની સાથે 42 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જેમાં શિવસેનાના 34 અને 8 અપક્ષ ધારાસભ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
અમારી મુશ્કેલીઓને ક્યારેય તમે નથી સાંભળી: એકનાથ શિંદે
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર ચિઠ્ઠીમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, 'અમારા માટે ઉદ્ધવના ઘરના દરવાજા બંધ કેમ? અમારી પરેશાની તમે કયારેય ન સમજી જોઇ. અઢી વર્ષમાં ઉદ્વવ ઠાકરેએ અમને આપણા નથી સમજ્યા. અમે સતત રજૂઆત કરતા રહ્યાં પણ અમારી એક પણ ન સાંભળી. અમને ક્યારેય વર્ષા બંગલામાં પ્રવેશ નથી આપવામાં આવ્યો. અમારી મુશ્કેલીઓને ક્યારેય તમે નથી સાંભળી. અમે સતત અવાજ લગાવ્યો, જેને તમે નથી સાંભળ્યો. આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા જતા અમને કેમ રોકવામાં આવ્યાં? રાજ્યસભા ચૂંટણીમાં પણ અમારી પર ભરોસો કેમ ના મૂકવામાં આવ્યો?'
પત્રના મુખ્ય મુદ્દા:
મુખ્યમંત્રીના બંગલા પર NCP અને કોંગ્રેસ નેતાઓને મળવા માટે સમય આપવામાં આવતો હતો પણ આમારી સાથે અપમાનજનક વ્યવહાર.
મુખ્યમંત્રી પોતે મંત્રાલય ક્યારેય આવ્યા નથી, તેમની આસપાસ રહેતા લોકોને અમારો ફોન કરવા પડતાં પરંતુ તે પણ ક્યારેય ફોન ઉપાડતાં નહીં, આ બધાથી અમે કંટાળી ગયા હતા અને એકનાથ શિંદેને કહેવું પડ્યું કે આ પગલું ભરો.
પાર્ટી માટે હિન્દુત્વ અને રામ મંદિર ખૂબ મોટો મુદ્દો હતો, પણ પાર્ટીએ અમને અયોધ્યા જવાથી રોક્યા. આદિત્ય ઠાકરેના પ્રવાસ દરમિયાન ધારાસભ્યોને ફોન કરીને અયોધ્યા ન જવાનો આદેશ અપાયો હતો.
માત્ર ધારાસભ્યો જ નહીં, પરંતુ 17 સાંસદ પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતરતા જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાલ ગુવાહાટીમાં હાજર છે. તો વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે, તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેઓએ કહ્યું કે, માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.
આવી સ્થિતિ વચ્ચે એકનાથ શિંદે આજે રાજ્યપાલને પણ મળી શકે છે અને પોતાની સાથે ભાજપનું સમર્થન હોવાનો દાવો કરી શકે છે. આ સિવાય એકનાથ શિંદે રાજ્યપાલને પત્ર આપીને શિવસેના પાર્ટી પર પોતાનો હક હોવાનો દાવો કરી શકે છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના વધારે ધારાસભ્ય હોવાના કારણે શિવસેના પર શિંદે પોતાનો દાવો કરી શકે છે. આજે શિંદે સમર્થકોના નિર્ણય પર સૌ કોઇની મિટ મંડરાયેલી છે.