શાસનને ચૂંટણીની રેલીઓમાં કોઈ નિયમો યાદ આવ્યા ન હતા પરંતુ તહેવારો આવતા જ નિયમો યાદ આવ્યા છે. હોળી-ધુળેટીના તહેવારને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
હોળી-ધુળેટીની ઉજવણી પર મોટા સમાચાર
હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે
ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી નહીં
રાજ્યમાં ધુળેટીની ઉજવણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસોને લઇને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હોળી-ધુળેટી અંગે નિર્ણય કરાયો છે. હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે.
નીતિન પટેલે કહ્યું કે, હોળીની ઉજવણીમાં ટોળાશાહી કરવા, ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી નહીં મળે. હોળી-ધુળેટીના નાના મોટા કે જાહેર રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહીં મળે. વધુમાં તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં.
ચૂંટણીથી સંક્રમણ ફેલાયુ હોત તો દેશભરમાં કેસ ન વધ્યા હોત: DyCM
આ ઉપરાંત કોરોનાના કેસ પર વાત કરતા તેમણે કહ્યું કે, કોરોનાના કેસ દેશભરમાં વધી રહ્ય છે માત્ર ઈલેક્શનના કારણે કેસ ગુજરાતમાં નથી વધ્યા સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે. પહેલા જેટલા ગંભીર કેસ સામે નથી આવી રહ્યા દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે.પરંતુ તમામ લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે.