બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:58 PM, 3 June 2026
રાજધાની દિલ્હીના હૌઝ રાની વિસ્તારમાં સર્જાયેલા કાળઝાળ અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 નિર્દોષ લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવીને હોટલના ફરાર માલિક લવકેશ બજાજની ધરપકડ કરી લીધી છે. દુર્ઘટના બાદ લવકેશ બજાજ અને તેની પત્ની દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસે અગાઉથી જ એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરી દીધો હતો. ત્યારબાદ વિશેષ ટીમોની સઘન શોધખોળ બાદ આખરે આરોપી માલિકને દબોચી લેવાયો છે.
ADVERTISEMENT
Lovkesh Bajaj, co-owner of Hotel Flourish Stays, arrested by the Delhi Police in connection with Malviya Nagar fire incident.
— ANI (@ANI) June 3, 2026
A massive fire broke out at the hotel, claiming the lives of 21 people.
(Pic: Delhi Police) pic.twitter.com/NBMyV2jw72
બુધવારે સવારે દક્ષિણ દિલ્હીના હૌઝ રાનીમાં આવેલી પાંચ માળની 'ફ્લોરિસ સ્ટે બી એન્ડ બી' હોટલને આગે ક્ષણભરમાં લપેટમાં લઈ લીધી હતી. હોટલની ખામીયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમોએ ભારે જહેમત બાદ કાચ તોડીને ડઝનબંધ લોકોને બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT

દિલ્હી પોલીસના સત્તાવાર રિપોર્ટ અનુસાર, અગ્નિકાંડ બાદ કુલ 49 લોકોને ગંભીર હાલતમાં જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી સારવાર દરમિયાન 21 લોકોએ દમ તોડી દીધો હતો. અત્યંત ચોંકાવનારી વાત એ છે કે મૃતકોમાં 9 ભારતીય નાગરિકો અને 12 વિદેશી પ્રવાસીઓ સામેલ છે. હોસ્પિટલમાંથી 8 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના ઘાયલો હજુ પણ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે જાહેર કરેલી યાદી મુજબ, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોમાં શ્રુતિકા બર્નવાલ, તર્જની અગ્રવાલ, વારિયા અગ્રવાલ ઉર્ફે પર્લ, ઝવેરી અગ્રવાલ, વિવેક અગ્રવાલ, અશોક અગ્રવાલ, કમલા અગ્રવાલ, પ્રેમલતા અગ્રવાલ અને જીવિશા અગ્રવાલ સામેલ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અગ્નિકાંડમાં સૌથી વધુ કરુણ ઘટના ગુરુગ્રામના સેક્ટર-46 ના રહેવાસી વિવેક અગ્રવાલના પરિવાર સાથે ઘટી છે, જેના એક જ પરિવારના 8 સભ્યો આ હોટલમાં જીવતા ભૂંજાયા છે. વિવેક અગ્રવાલના પિતા રાધેશ્યામ અગ્રવાલ માલવીય નગરની મેક્સ હોસ્પિટલમાં ફેફસાંની ગંભીર બીમારીની સારવાર માટે દાખલ હતા. પિતાની દેખરેખ માટે આખો પરિવાર હોસ્પિટલની નજીક આવેલી આ હોટલમાં રોકાયો હતો. રાજસ્થાનથી પણ કેટલાક સંબંધીઓ રાધેશ્યામના ખબર-અંત પૂછવા આવ્યા હતા, જેઓ પણ વિવેકની સાથે આ હોટલમાં રોકાયા હતા અને આગનો શિકાર બન્યા હતા. મૃતકોમાં વિવેક, તેમની પત્ની તર્જની, માસૂમ પુત્રીઓ જીવિશા અને વારિયા, માતા કમલા અને પરિવારના અન્ય સભ્યો સામેલ છે. હૃદય દ્રવી ઊઠે તેવી બાબત એ છે કે હોસ્પિટલમાં દાખલ બીમાર પિતા રાધેશ્યામને કદાચ હજુ સુધી ખબર પણ નથી કે તેમનો આખો વંશ આ આગમાં નાશ પામ્યો છે.
ADVERTISEMENT
તપાસ એજન્સીઓ અને દિલ્હી ફાયર સર્વિસની પ્રાથમિક તપાસમાં હોટલ પ્રશાસનની ગુનાહિત બેદરકારીના ચોંકાવનારા પુરાવા મળ્યા છે:
કોઈ ફાયર NOC નહીં: હોટલ બિલ્ડિંગ પાસે અનિવાર્ય એવું ફાયર સેફ્ટી ક્લિયરન્સ (NOC) હતું જ નહીં.
ADVERTISEMENT
એક જ એક્ઝિટ અને સેન્સર ડોર: પાંચ માળની ઇમારતમાં અંદર આવવા અને બહાર નીકળવા માટે માત્ર 1 જ સાંકડો રસ્તો હતો. હોટલની બારીઓ કાયમી ધોરણે પેક (બંધ) હતી અને મુખ્ય દરવાજો ઓટોમેટિક સેન્સર આધારિત હતો, જે આગ લાગતા જ વીજળી ગુલ થવાના કારણે લોક થઈ ગયો હતો.
રૂમનો ગેરકાયદેસર ખેલ: દિલ્હી સરકારની 'બેડ એન્ડ બ્રેકફાસ્ટ' નીતિ હેઠળ આ હોટલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ લાલચુ માલિકે કાયદાના લીરેલીરા ઉડાવીને ત્યાં 25 રૂમ બનાવી દીધા હતા, જેમાં કેટલાક રૂમ તો જોખમી રીતે બેઝમેન્ટમાં પણ ધમધમતા હતા. આ સિવાય સત્તાવાળાઓની મંજૂરી વિના જ બિલ્ડિંગ પર ગેરકાયદેસર રીતે વધારાના માળ બાંધી દેવાયા હતા.
દિલ્હી પોલીસે આ મામલે હોટલ માલિક લવકેશ બજાજ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનાહિત માનવવધ (ગેરઇરાદાપૂર્વક હત્યા) સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે. આરોપી માલિકની ધરપકડ બાદ પોલીસ તેને રિમાન્ડ પર લઈને આકરી પૂછપરછ કરી રહી છે. તપાસ એજન્સીઓ હવે એ શોધી રહી છે કે આટલી મોટી બેદરકારી પાછળ સરકારી તંત્ર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા અધિકારીઓ સામેલ હતા જેમણે આંખ આડા કાન કર્યા હતા. દિલ્હીના ઇતિહાસની આ સૌથી ભયાનક આગની ઘટનાએ કાનૂની મોનિટરિંગ પર મોટા સવાલો ઉભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.