દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતમાં આગમન પહેલા જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે બદલાશે ગુજરાત
જ્ઞાતિગત મુખ્યમંત્રીની દાવેદારીઓ વચ્ચે આપની એન્ટ્રી
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં AAPનું પ્રદેશ કાર્યલયનું કરશે ઉદ્ધાટન
ઈસુદાન ગઢવી સહિત 10 લોકો ગુજરાત AAPમાં જોડાશે
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. આ અંગે તેમણે એક સૂચક ટ્વીટ પણ કર્યું છે. ગુજરાતમાં આગમન પહેલા જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે બદલાશે ગુજરાત,
હવે બદલાશે ગુજરાત.
કાલે હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ
આ સાથે ગુજરાતમાં અમદાવાદના નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું પણ લોકાર્પણ થવાનું છે. આ તમામ કાર્યક્રમોને લઈ આવતીકાલે ચર્ચાઓનો નવો દોર શરૂ થશે.
દિલ્લી CM અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે
સવારે 10.20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
એરપોર્ટથી કેજરીવાલ સરકીટ હાઉસ જશે
સરકીટ હાઉસ ખાતે અગ્રણીઓ સાથે મુલાકાત કરશે
ત્યારબાદ કેજરીવાલ પત્રકાર પરિષદ સંબોધશે
પત્રકાર પરિષદ બાદ પ્રદેશ AAP કાર્યલયનું ઉદ્વાટન કરશે
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી રાજનીતિ નવા-નવા રંગ દેખાડી રહી છે. સૌ પ્રથમ પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક યોજાઈ હતી. જેના પર પણ સૌ કોઈ નજર તાકીને બેઠું હતું. અને બેઠક બાદ નરેશ પટેલના નિવેદનથી એક મોટી ચર્ચાઓ શરૂ પણ થઈ ચૂકી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીની ચર્ચાઓ ચાલી રહી હતી. તે દરમિયાન ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની બેઠક પણ ચર્ચાનું કેન્દ્ર હતી.
ગાંધીનગરમાં ભૂપેન્દ્ર યાદવ ભાજપના મંત્રી કક્ષાના નેતાઓ સાથે વન-ટુ વન બેઠક યોજી રહ્યા હતા. 2022ની ચૂંટણી પહેલા વન ટુ વન બેઠકનું તારણ રાજનીતિમાં લોકો પોત પોતાની રીતે લગાવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે અચાનક ભૂપેન્દ્ર યાદવને દિલ્હીનું તેડું પણ આવી ગયું હતું. ભૂપેન્દ્ર યાદવ દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ હવે ત્રીજા પક્ષની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક બાદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામ ખાતે પાટીદાર મુખ્યમંત્રીના મુદ્દા પર અલ્પેશ ઠાકોરે કઠોર પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું કે, અન્યાય પાટીદારને નહીં, ઓબીસી, દલિત-અદિવાસીને થયો છે. OBC, દલિત અને આદિવાસી મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે મુખ્યમંત્રીની વાત કરી હોય તો જાતિવાદમાં ખપાવી દેવામાં આવે છે.
અલ્પેશે કહ્યું, અમારી પાસે ફેક્ટરી કે મોટી સંસ્થા નથી કે, જ્યાં મિટિંગ કરીએ. ધાર્મિક જગ્યા પર આ પ્રકારના વાત યોગ્ય ગણાય નહીં. પાટીદારની સંસ્થા આવી મિટિંગ કરે તે નિંદનિય છે. કેબિનેટમાં કઇ જાતિના મંત્રીઓ છે તે જાણો છો. તેવું કહીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી છે તે અન્યાય કહેવાય ?