કોરોનાએ ફરી પોતાનો આતંક બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં અચાનક ફરી ઉછાળો આવતા ત્રીજી વેવ આવી ચૂકી હોવાનું અનુમાન લગાવાય છે.
નવ અઠવાડિયા બાદ વધ્યા 10% કેસ
છેલ્લા અઠવાડિયે 55% લોકોના મોત
ડેલ્ટા વેરિયન્ટ મચાવે છે આતંક
કોરોનાએ ફરી દુનિયાને ભરડામાં લેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા અઠવાડિયાની સાપેક્ષમાં આ અઠવાડિયે 10% કેસોમાં વધારો થયો છે. નિષ્ણાંતોના મતે આ જ ત્રીજી લ્હેરની શરૂઆત હોવાનું માનવામાં આવી રહ્યું છે।
કયા દેશો વધારે પ્રભાવિત?
છેલ્લા નવ અઠવાડિયાથી સતત ઘટી રહેલ કોરોના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ વખતે નવા કેસો મુખ્યત્વે ભારત,ઈન્ડોનેશિયા અને બ્રિટન અને બ્રાઝીલમાં જોવા મળી રહ્યા છે. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ આગોતરાં પગલાંરૂપે નિયંત્રણો લાદવાનું પણ શરૂ કરી દીધું છે.
આ કારણે વધી રહ્યા છે કેસ
WHO ના મત અનુસાર ઘણા દેશોમાં નિયંત્રણો હટાવવાનુ દબાણ વધી રહ્યું છે પરંતુ જો સાવચેતી નહીં રાખવામાં આવે તો સંક્રમણ ગંભીર રીતે વધી શકે છે. તો જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. ડેવિડ ડાઉડીએ કહ્યું હતું કે એ ઓળખવું ખૂબ જરૂરી છે કે કોરોનામાં વિસ્ફોટક રીતે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા છે. ઘણા દેશોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોમાં પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી પોતાનો રંગ બતાવી રહ્યો છે ત્યારે હવે 111 દેશો ડેલ્ટા વેરિયન્ટથી પ્રભાવિત થઈ ચૂક્યા છે.
છેલ્લા એક અઠવાડિયામાં 55 હજાર મોત
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે જાહેર કર્યું હતું કે નવ અઠવાડિયાથી સતત ઘટી રહેલ કેસ સંખ્યામાં આ અઠવાડિયે વધારો થયો છે તો સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 55 હજાર લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા જે અગાઉના અઠવાડિયા કરતાં ત્રણ ટકા વધારે છે. કેસ સાંખ્યમાં 10% નો અર્થાત 30 લાખ કેસનો નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. સૌથી વધારે કેસ બ્રાઝીલ,ભારત,ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં જોવા મળ્યા હતા.
વૈશ્વિક આંકડા
વિશ્વમાં હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 18.93 કરોડથી વધુ થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 40.76 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના કેસની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા અને મૃતકોની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે. સંક્રમણની સ્થિતિમાં બ્રાઝિલ ત્રીજા સ્થાને છે અને કોરોનાને કારણે થતાં મૃત્યુના મામલે વિશ્વમાં બીજા ક્રમે છે. અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 6.23 લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. હવે ડેલ્ટા વેરિયન્ટ પણ આતંક મચાવી રહ્યો છે.
ડેલ્ટા વેરિયન્ટનો આતંક
દુનિયાના ઘણા દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે તબાહી મચી જવા પામી છે. આર્જેન્ટિનમાં મહામારીના કારણે મૃતકોની સંખ્યા એક લાખથી ઉપર પહોંચી ગઇ છે. આ અઠવાડિયે રશિયામાં કોરોનાના કારણે થતાં મૃત્યુની દૈનિક સંખ્યા સૌથી વધારે નોંધાઈ હતી. બેલ્જિયમમાં ડેલ્ટા વેરિયન્ટના કેસોની સંખ્યા બમણી થઈ જવા પામી હતી. મ્યાનમારના સ્મશાનો સવારથી સાંજ સુધી વ્યસ્ત રહેતા હોવાના સમાચારો આવી રહ્યા છે તો ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કારણે ફરી નિયંત્રણો વધારી દેવામાં આવ્યા છે.