રાજસ્થાન અને દિલ્હી બાદ ગુજરાતમાં પણ લોકડાઉનની વિચારણા ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો ટુંક જ સમયમાં સરકાર દ્વારા કમસે કમ 8 મહાનગરપાલિકાઓમાં લોકડાઉન જાહેર કરાશે.
રાજ્યમાં કોરોના સંક્રમણને લઇ મહત્વના સમાચાર
8 મનપા વિસ્તારમાં લાગી શકે છે લોકડાઉનઃ સૂત્ર
સરકારમાં લોકડાઉન અંગે ચાલી રહી છે વિચારણાઃ સૂત્ર
રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ગુજરાતમાં પણ લોકડાઉન અંગે વિચાર કરી રહી છે જેમાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવો ગણગણાટ છે કે 8 મનપાઓમાં કડક લોકડાઉન અમલી બનશે. સરકારમાં લોકડાઉન અંગે વિચારણા અંગે ચાલી રહી છે.
રાજ્યમાં 8 મનપા વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં લોકડાઉન લાગુ કરાયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં લોકડાઉન લાગી શકે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...