ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ દ્વારા વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મિટિંગ બાદ તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ પક્ષના મોવડી મંડળને સોંપાશે.
ચુંટણી વહેલી આવે તેવી ચર્ચાએ જાણકારોમાં જોર પકડયું
સમાજની વિવિધ જ્ઞાતિઓમાં ભાજપની વિચારધારાનો ફેલાવો કરવા તાકીદ
CR-CM સાથે પણ બી.એલ.સંતોષ એ કરી હતી મુલાકાત
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપે તેજ ગતિએ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ચૂંટણી વહેલી, મોડી કે સમયસર યોજાશે તે અંગે હજુ કોઇ સ્પષ્ટા કરાઇ નથી. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે બેઠકો બાદ રિપોર્ટ બનાવ્યો હતો. ભાજપ સરકાર, સંગઠન અને સંઘ સાથે મિટિંગ બાદ તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ પક્ષના મોવડી મંડળને સોંપાશે. ત્યારબાદ આગેવાનો દ્વારા આ અંગે રિપોર્ટનો અભ્યાસ કરાયા બાદ ગુજરાતમાં ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે. પરંતુ ભાજપની જોરશોરથી ચાલી રહેલ તૈયારીને લઈને ચુંટણી વહેલી આવે તેવી ચર્ચાએ જાણકારોમાં જોર પકડયું છે.
રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષે કરી હતી સરકારની કામગીરીની સમીક્ષા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપે વિધાનસભા ચૂંટણી લઈને કામગીરી હાથ ધરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ સાથે મુલાકાત કરી હતી. આ તકે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરીનું રિપોર્ટકાર્ડ કાર્ડ મુકાયું હતું. આ રિપોર્ટ કાર્ડમાં ખેડૂત, યુવાનો, મહિલાઓ, ગરીબો માટેની યોજના અંગેની વિગત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રિપોર્ટ કાર્ડ રજૂ કર્યા બાદ સરકારની કામગીરીની રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષે સમીક્ષા પણ કરી હતી. પોતાના મતવિસ્તારમા જ નહીં, પરંતુ આસપાસના વિધાનસભા વિસ્તારના ખૂણે-ખુણે સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે મંત્રીઓને કામે લાગી જવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આગામી 18 સપ્તાહ સુધીના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ કાર્યક્રમો યોજી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
વિરોધીઓની વચ્ચે રહી ભાજપની વિચારધારા મજબૂત કરવા હંકાલ કરાઇ
ગુજરાતમાં ચુંટણીના માહોલ વચ્ચે દિલ્હીથી મુલાકાતે આવેલ રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષે ભાજપની ભગીની સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં સામાજિક અને સંગઠનના મુદ્દાઓને વધુ મહત્વ આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અપાયેલ માર્ગદર્શન અને સૂચનો પણ રિપોર્ટમાં ઉમેરાયા છે. વધુમાં ગુજરાત મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષે SC-ST સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. સમાજમાં ભાજપનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ SC-ST યુવાનો ભાજપ સાથે જોડાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં હાલ SC અનામત હોય એવી 13 બેઠકો છે. જેમાંથી 8 ભાજપ જોડે અને 5 કોંગ્રેસ પાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો જીતવા ભાજપે કવાયત હાથ ધરી છે. આ બેઠકમાં SC અને ST સમુદાયના લોકો ભાજપમાં કેમ જોડતા નથી તે અંગે તારણો શોધવા અને સમાજની વિવિધ જ્ઞાતિઓમાં ભાજપની વિચારધારાનો ફેલાવો કરવા તાકીદ કરાઇ હતી. વિરોધીઓની વચ્ચે રહીને ભાજપની વિચારધારા મજબૂત કરવા હંકાલ કરવામાં આવી હતી. એટલું જ નહી સમુદાયના યુવાનોને ભાજપમાં જોડવા માટે દર મહિને હોસ્ટેલ અને શાળાની મુલાકાત લઈ બેઠક યોજવા પણ તાકીદ કરાઇ હતી. જ્યાં સુધી અસ્પૃશ્યતા છે, ત્યાં સુધી અનામત હટાવાશે નહી તેવી અને ભાજપ સંવિધાનમાં કોઈ બદલાવ લાવવા માંગતું ન હોવાની ખાત્રી સમુદાયના લોકોને આપવા પણ જણાવ્યું હતું.