ગુજરાતમાં કોરોના કાળ ચાલી રહ્યો છે તો ચાલુ વર્ષે ભારે વરસાદ પડતા રાજ્યના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હવે શિયાળુ પાકને લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરીને રાજ્યના ખેડૂતોને લઇને મહત્વની જાહેરાત કરી હતી.
ખેડૂતોને લઇને રૂપાણી સરકારની મોટી જાહેરાત
રવિપાકને લઇને અપાશે પુરતું પાણી
રાજ્યમાં કર્ફ્યુને લઇને આપ્યું નિવેદન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, શિયાળુ પાકને લઇને રાજ્યના ખેડૂતોએ પાણીની માગણી કરી હતી અને ચાલુ વર્ષે રાજ્યમાં રવિ પાકનું વિપુલ ઉત્પાદન થાય તે માટે રાજ્ય સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખાસ બેઠક યોજાઇ હતી. ત્યારે રવિ પાક માટે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.
રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે લાભ
Dy.CM નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા નિગમ દ્વારા રાજ્યની નહેરોમાં દરરોજ એવરેજ 15 હજાર ક્યૂસેક પાણી વહેવડાવવામાં આવી રહ્યું છે. જેનો સૌથી મોટો લાભ રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે. કચ્છમાં ગયા વર્ષે 900 ક્યૂસેક પાણી છોડવામાં આવતું હતું તેની સામે ચાલુ વર્ષે 10800 ક્યૂસેક પાણી છોડવામાં આવશે.
રાજ્યમાં કર્ફ્યુને લઇને આપ્યું નિવેદન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં કર્ફયુને લઇને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની બેઠકમાં આ અંગે કોઇ જ ચર્ચા થઇ નથી. હાલ મહાનગરોમાં કે અમદાવાદમાં વીક એન્ડ કર્ફ્યુની કોઇ જ વિચારણા નથી. હાલ માત્ર રાત્રિ કર્ફ્યુ જ યથાવત રહેશે.
સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ થઇ રહ્યા છે વાયરલ
તેમણે એમ પણ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે અફવાઓ ચલાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી કારણ કે, કરોડો નાગરિકો પોતાનો ધંધો-રોજગાર જરૂરીયાત પ્રમાણે મેળવે છે માટે સરકારને તમામની સ્થિતિને જોઇને યોગ્ય નિર્ણય કરશે.
પાનના ગલ્લા અને ચાની કિટલી બંધ કરવા અંગે નિવેદન
રાજ્યમાં પાનના ગલ્લા અને ચાની કિટલી બંધ કરવા અંગે નિવેદન આપ્યું હતું કે,રાજ્ય સરકારનો ઉદેશ્ય છે કોઇપણ સ્થળે ભીડ ન થવી જોઇએ. તે પછી પાનનો ગલ્લો હોય કે ચાની કિટલી કે પછી કરિયાણાની દુકાન. ભીડ થશે તો સંક્રમણ થવાની શક્યતાઓ વધે છે. માટે લારી-ગલ્લા વાળા જ ભીડ કરે છે તે સાચુ નથી. આ અંગે તમામ લોકોને કહેવામાં આવ્યું છે, તમામ વસ્તુઓ ગ્રાહકોને આપી દેવી. નાસ્તાવાળાને પણ કહેવામાં આવ્યું છે કે નાસ્તો પેક કરીને આપી દેવો સ્થળ પર ગ્રાહકને ખાવા માટે આપવો નહીં. ભીડ ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્કતાથી કાર્ય કરી રહ્યા છે, મીડિયાના મિત્રોને પણ પુરતો સહકાર મળી રહ્યો છે.
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.
ગુજરાતમાં બહારથી આવતા લોકો માટેના ટેસ્ટ અંગે નિવેદન
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે. રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે થઇને આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે અને મહારાષ્ટ્ર જેવી વ્યવસ્થા ગુજરાતમાં ઉભી નહીં કરાય