નવા મંત્રીઓ માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરી દેવામાં આવી છે.
મંત્રીઓને નવા PA, PS ફાળવી દેવાયા
15 સપ્ટેમ્બરે નવી સરકારના કામચલાઉ PA, PSની નિમણૂંક કરાઈ હતી
અગાઉના સચિવોની નિમણૂંકની તારીખ પૂરી થતા પહેલા જ મોટો નિર્ણય
રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓની શપથ ગ્રહણના હજુ 28 દિવસ થયા ત્યારે ત્યારે ગુજરાતમાં ભાજપ સંગઠન માંડી સરકાર સુધી નો રિપીટ ફોર્મ્યુલા અપનાવી રહી છે. ત્યારે આ નીતિ પ્રમાણે ગુજરાત સરકારના અધિકારીઓને પણ નીમવામાં આવી રહ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ નવા 24 મંત્રીઓ માટેના અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારે વિધાનસભા ચુંટણી પહેલા ગંજીફો ચીપતા હોય તેમ બદલી રૂપી પતા ફેંક્યા છે. 15મી સપ્ટેમ્બરના રોજ બે મહિનાના નિશ્ચિત સમયગાળા માટે તમામ મંત્રીઓના કામચલાઉ PA તથા PSને નિમણૂંક અપાઈ હતી. જે બાદ આજે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ નવા 24 મંત્રીઓ માટેના અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની પસંદગી ઉતારી દેવામાં આવી છે. અને નવા અધિકારીઓને પોતાના હોદ્દા હાજર થવા આદેશ પારિત કરી દેવામાં આવ્યો છે.
અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી લાગુ
નવી સરકાર, નવા મંત્રી અને હવે નવા અધિકારીની ફોર્મ્યુલા ગુજરાત સરકાર અપનાવી રહી છે. રૂપાણી સરકારમાં સચિવ, અને મદદનીશ તરીકે કારોભાર સંભાળતા તમામ અધિકારીઓને નવા નીમી દેવામાં આવ્યા છે. મહત્વનું છે સરકાર દ્વારા નવા જ અધિકારીઓની નિમણૂંક કરવાનો આગ્રહ રખાઈ રહ્યો હતો.જેના ભાગ રૂપે અગાઉના સચિવોની નિમણૂંકની તારીખ પૂરી થતા અગાઉ જ મંત્રીઓને નવા PA, PS ફાળવી દેવાયા છે.16 સપ્ટેમ્બર 2021થી 15 નવેમ્બર 2021 સુધી બે મહિનાના નિશ્ચિત સમયગાળા માટે કામચલાઉ સ્ટાફ હાલ સુધી કામ કરી રહ્યો હતો. જે બાદ હવે તદ્દન નવો સ્ટાફ સચિવાલયમાં કામ કરતો નજરે પડશે.