મુખ્યચૂંટણી કમિશનર દ્વારા ગુજરાતની સાત બેઠકની પેટાચૂંટણીની જગ્યાએ 4 બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની અમરાઇવાડી, થરાદ, ખેરાલું, લુણાવાડામાં પેટાચૂંટણી યોજાશે. ભાજપે ચારેય બેઠક પરથી સંભવિત ઉમેદવારોનું ગણિત તૈયાર કરી દીધું છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરના બદલે ખેરાલુથી ચૂંટણી લડાવે તેવું લગભગ નિશ્ચિત છે.
ખેરાલુ બેઠકનું ગણિત, અલ્પેશનું નામ ભાજપમાંથી નક્કી
ભાજપે અલ્પેશ ઠાકોરને ખેરાલુંથી લડાવવાનું લગભગ નક્કી કરી લીધું છે. બસ હવે અલ્પેશ માની જાય તેની જ વાર છે. આ સાથે ખેરાલું બેઠક પર ઠાકોર સમાજના પ્રભાવથી તેની જીત પણ સરળ છે. આ બેઠક પર કુલ 2,07,000 મતદાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે. જેમાં અંદાજે ઠાકોર સમાજના 65 હજાર,ચૌધરી સમાજના 22 હજાર મતદાર જ્યારે ક્ષત્રિયના 18 હજાર, બ્રાહ્મણના 8500, દલિત સમાજના 16 હજાર, મુસ્લિમ સમાજના 9 હજાર અને પાટીદારના 12 હજાર હોવાનું અનુમાન છે. આ બેઠક ઉપર માત્ર બે જ વખત ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવી છે.
અહીં અગાઉ 1998માં રમીલાબેન દેસાઇ 2500 મતથી હાર્યા હતા. જ્યારે 2002માં રમીલાબેન દેસાઇ 20,000 મતથી શંકરજી ઠાકોર સામે જીત્યા હતા. જ્યારે 2007થી સ્વ. શંકરજી ઠાકોરના પુત્ર ભરત ડાભી સતત ધારાસભ્ય રહ્યાં છે.
ખેરાલુ બેઠકને લઇને રાજકીય ગરમાવો
રાજ્યમાં જાહેર થયેલી પેટાચૂંટણીની તારીખને લઇને ખેરાલુ બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક ભરતસિંહ ડાભી સાંસદ બનતા બેઠક ખાલી પડી છે. આમ ખેરાલું સીટ પર ઠાકોર-ચોધરી મતદાર ખાસ મહત્વના છે. આ બેઠક પર કોંગ્રેસ કરતાં ભાજપ હંમેશા મજબૂત જોવા મળી રહ્યું છે.
અમરાઇવાડી બેઠકને લઇને ભાજપના સંભવિત નામ
અમરાઇવાડી બેઠક પરના ભાજપના સંભવિત નામો આવ્યા સામે છે. જેમાં પૂર્વ મેયર આશિત વોરા, મહેશ કસવાલા, કમલેશ પટેલ અને અમૂલ ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે. આ બેઠક સાંસદ હસમુખ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહનું વર્ચસ્વ હોવાથી નિશ્ચિત બંનેના નજીક અને વિશ્વાસુને જ ટિકિટ મળશે.
લૂણાવાડા બેઠકને લઇને ભાજપના સંભવિત નામ
લૂણાવાડા બેઠકને લઇને ભાજપના સંભવિત ઉમેદવારોમાં જે. પી. પટેલનું નામ મોખરે છે. જે. પી. પટેલ ભાજપ જિલ્લાના પ્રમુખ છે. ત્યારે તેમનું નામ ચર્ચામાં છે.
થરાદ બેઠકનું ગણિત
પરબત પટેલ સાંસદ બનતાં આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર ચૌધરીઓનું પ્રભુત્વ હોવાથી ભાજપ હંમેશા ચૌધરી ઉમેદવાર જ ઉતારતું આવ્યું છે. આ વખતે શંકર ચૌધરી આ બેઠકથી ચૂંટણી લડી શકે છે.