અમદાવાદ શહેરમાં ટેક્સ ના ભરનાર વાહન પર તવાઈ બોલાઈ શકે છે.ઘણા વાહનચાલકો એવા છે જેઓએ કોર્પોરેશનનો ટેક્સ ભર્યો નથી તેમની સામે હવે મનપા લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરશે
વ્હીકલ ટેક્સ મુદ્દે મનપા કરશે કાર્યવાહી
વર્ષ 2019 મા 1.74 લાખ વાહન વેચાયા
કુલ 24,487 વાહનોના ટેક્સ નથી ભરાયો
શહેરમાં વાહન પર ટેક્સ ના ભરનાર લોકો પર હવે તવાઈ બોલાઈ શકે છે. શહેરમાં ઘણા વાહનચાલકો એવા છે જેઓએ કોર્પોરેશનનો ટેક્સ ભર્યો નથી છતા પણ વાહનો ચલાવી રહ્યા છે. આવા વાહનચાલકોને લીધે કોર્પોરેશનને દર વર્ષે આવકમાં મોટું નુકસાન થાય છે. જેને ધ્યાનમાં રાખીને હવે વ્હીકલ ટેક્સ મામલે મનપા કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.
વર્ષ 2019 મા 1.74 લાખ વાહન વેચાયા
મનપાની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો વર્ષ 2019માં 1.74 લાખ વાહન વેચાયા જેમાં કુલ 24,487 વાહનોના ટેક્સ હજુ સુધી ભરાયા નથી. આ વિગતો સુભાસબ્રીજ RTOના એક અહેવાલમાં સામે આવી છે.જો કે આરટીઓએ અંદાજે 18 કરોડ જેટલી રકમનો ટેક્સ લેવાનો બાકી નિકળે છે, જેને લઈને બાકી ટેક્સ મુદ્દે વાહન માલિકોને નોટીસ મોકલવામાં આવશે. જે બાદ પણ જો ટેક્સ ભરવામાં નહી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કુલ 24,487 વાહનોના ટેક્સ નથી ભરાયો
મહત્વનું છે કે વાહન વેરો ન ભરનારના કારણે દર વર્ષ એએમસીને મોટું નુકસાન થાય છે. ત્યારે આ માટે આવા વાહનચાલકો પાસેથી દંડ વસુલવાની કામગીરી હવે કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. જે વાહન ચાલકોને ટેક્સ પર દંડ કે વ્યાજ પણ લેવામાં આવતું નથી હવે આવા વાહનમાલિકો પાસેથી 18 ટકા વ્યાજ લેવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવશે. સૌથી વધારે ખાનગી મોટી ટ્રાવેલ્સ કંપનીઓ આવા ટેક્સની ચોરી કરતા હોય તેવી માહિતી સામે આવી છે. તો AMC હવે વાહન કરચોરી કરતા લોકો સામે આંખ લાલ કરી શકે એમ છે.