બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:03 PM, 4 July 2026
દોઢ મહિનાથી એક પરિવાર પોતાના ગુમ થયેલા વહાલસોયા ભાઈની શોધમાં દર-દર ભટકી રહ્યો હતો. આંખો પથરાઈ ગઈ હતી, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં આવી રહ્યા હતા અને ભાઈ પોતાની સાથે ગુમ થયેલા ભાઈની તસવીર લઈને દરેક જગ્યાએ ખાખ છાણી રહ્યો હતો. પરંતુ કોઈને કાનોકાન ખબર નહોતી કે જે ભાઈને તેઓ આખી દુનિયામાં શોધી રહ્યા છે, તે કોઈ દૂર નહીં પણ તેમના પોતાના જ ઘરની અંદર લાશ બનીને દટાયેલો છે. ઉત્તર પ્રદેશના આગ્રાના સિકંદરા વિસ્તારમાંથી એક એવી ભયાનક ઘટના સામે આવી છે, જેણે પોલીસ પ્રશાસનથી લઈને સામાન્ય જનતાના હોશ ઉડાવી દીધા છે. એક પત્નીએ માત્ર પોતાના પતિની નિર્મમ હત્યા જ ન કરી, પરંતુ ગુનાને છુપાવવા માટે લાશને પોતાના જ ઘરના બાથરૂમના ફ્લોર નીચે દફનાવી દીધી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસના સિકંજામાં આવેલી આરોપી પત્ની રૂબીએ પૂછપરછમાં જે ખુલાસા કર્યા છે, તેણે આ સમગ્ર કેસના રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે. મૃતક પતિ સુરેન્દ્ર શર્મા બેરોજગાર હતો અને તેને દારૂની ભારે લત હતી. તે રોજ રાત્રે દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવતો અને પત્ની રૂબી સાથે અત્યંત નિર્દયતાથી મારપીટ કરતો હતો. ઘરનો ખર્ચ પણ સુરેન્દ્રની માતાને મળતા પેન્શનથી જેમ-તેમ ચાલતો હતો. રૂબીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું કે તે વર્ષોથી આ ઘરેલું હિંસા અને રોજ-રોજનું ટોર્ચર સહન કરી રહી હતી. પરંતુ 26 મેની રાત્રે પાણી માથા પરથી પસાર થઈ ગયું. સુરેન્દ્રએ ફરી એકવાર નશાની હાલતમાં રૂબીને ઢોર માર માર્યો. બસ, આ જ મોડ પર રૂબીના માથે ખૂન સવાર થઈ ગયું અને તેણે આ રોજની પીડાનો કાયમી અંત લાવવાનું નક્કી કરી લીધું. મોકો મળતા જ રૂબીએ સુરેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો.

ADVERTISEMENT
હત્યા બાદ સૌથી મોટો પડકાર લાશનો નિકાલ કરવાનો હતો. રૂબીએ આ માટે પોતાનો શાતિર મગજ ચલાવ્યો. તેણે ઘરની અંદર બનેલા બાથરૂમના ફ્લોરને ખોદ્યો, એક ઊંડો ખાડો તૈયાર કર્યો અને સુરેન્દ્રના શવને ત્યાં દાટીને ઉપરથી ફ્લોરને ફરીથી સિમેન્ટથી પાકો કરી દીધો. બીજી તરફ, જ્યારે પરિવારજનોને સુરેન્દ્રનો કોઈ પતો ન મળ્યો, ત્યારે તેના ભાઈ અનિલ શર્માએ સમય બગાડ્યા વિના સિકંદરા પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવી. પોલીસ કેસ નોંધીને તપાસમાં લાગી ગઈ. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ લગભગ 45 દિવસ સુધી સુરેન્દ્રની શોધમાં ભટકતી રહી. તપાસ અધિકારીઓ ઘણી વખત એ જ ઘરમાં આવ્યા, પરિવારની પૂછપરછ કરી, પરંતુ કોઈને શંકા સુદ્ધાં ન ગઈ કે જે બાથરૂમમાં તેઓ રોજ નહવા-ધોવાનું કામ કરી રહ્યા છે, તેની બરાબર નીચે સુરેન્દ્રની લાશ સડી રહી હતી.
ADVERTISEMENT
પોલીસની ટીમ રૂબીના ઘરે તપાસ માટે પહોંચી હતી અને કેટલાક સવાલ-જવાબ કરીને પરત ફરી હતી. પરંતુ કદાચ કાયદાના ડર અને પોતાના જ પાપના બોજ નીચે રૂબી અંદરથી તૂટી ચૂકી હતી. તે જ રાત્રે રૂબીએ પોતાની સાસુ સમક્ષ એ ભયાનક સત્ય ઓકી દીધું, જેને સાંભળીને વૃદ્ધ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂબીએ રડતા રડતા કબૂલ્યું કે સુરેન્દ્ર ક્યાંય ગાયબ નથી થયો, પણ તેણે જ તેની હત્યા કરીને લાશ બાથરૂમમાં દાટી દીધી છે. સાસુએ તરત જ આ વાત સુરેન્દ્રના ભાઈ અનિલને જણાવી અને અનિલે પોલીસને ફોન કર્યો. અડધી રાત્રે સાયરન વગાડતી પોલીસ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને રૂબીને કસ્ટડીમાં લીધી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ કસ્ટડીમાં આવતા જ રૂબીએ અધિકારીઓ સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો. તેની નિશાનદેહી પર 3 જૂલાઈ, 2026 ના રોજ પોલીસની ટીમ પાવડા અને કોદાળી લઈને ઘરના બાથરૂમમાં દાખલ થઈ. જેવા જ ફ્લોરને તોડીને ખોદકામ શરૂ કરાયું, ત્યાં હજાર દરેક વ્યક્તિના કાળજા કંપી ઉઠ્યા. ખાડાની અંદરથી સુરેન્દ્ર શર્માનો નરકંકાલ મળી આવ્યો. પોલીસે તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી. કાનૂની ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ, હાડકાં અને અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે જેથી મોતના ચોક્કસ સમય અને કારણની ખબર પડી શકે. હવે સિકંદરા પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે શું રૂબીએ એકલીએ જ આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો અને આટલી સફાઈથી લાશ દાટી દીધી? કે પછી આ મર્ડર પ્લાનિંગમાં ઘરની અંદર કે બહારની કોઈ અન્ય વ્યક્તિ પણ સામેલ હતી? હાલમાં પોલીસ મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓ ચકાસી રહી છે અને આરોપી પત્ની રિમાન્ડ હેઠળ જેલના સળિયા પાછળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.