નાયક ફિલ્મમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા અનિલ કપૂર
ભાજપ શિવસેના વચ્ચે રાજગાદી માટે ઘમાસાણ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદથી જ ભાજપ અને શિવસેના વચ્ચે વિખવાદ થઇ ગયો છે જેમાં મુખ્યમંત્રી પદ માટે બેય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ થઈ રહી છે. બેય પાર્ટીઓ વચ્ચેના ઘમાસાણના સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે?
એક યુઝરે અભિનેતા અનિલ કપૂરને CM બનાવવા કરી માંગ
ડીજીટલ યુગમાં કોઈ પણ મુદ્દો સોશિયલ મીડિયામાં છવાઈ જતો હોય છે ત્યારે ઘણા લોકો મહારાષ્ટ્રના મુદ્દે પણ તેમના વિચારો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર અભિનેતા અનિલ કપૂરને એક યુઝરે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની જવાની સલાહ આપી નાખી જેનો અનિલ કપૂરે પણ ખુબ રમુજી જવાબ આપ્યો.
વિજય ગુપ્તા નામક એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું "મહારાષ્ટ્રમાં જ્યાં સુધી કોઈ રસ્તો નથી નીકળતો ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. પડદા પર તો તેમના એક દિવસનો કાર્યકાળ આખા દેશે જોયો છે અને વખાણ્યો પણ છે. દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે શું વિચારી રહ્યા છે?"આ ટ્વિટ થોડાક જ સમયમાં વાયરલ થઇ ગયો અને અનિલ કપૂરે પણ તેના પર પોતાનો પ્રતિભાવ આપ્યો.
આ યુઝરને જવાબ આપતા અનિલ કપૂરે ખુબ રમુજી અંદાજમાં લખ્યું " હું નાયક જ ઠીક છું" . સોશિયલ મીડિયા પર અનિલ કપૂરના સેન્સ ઓફ હ્યુમરના વખાણ કરવામાં આવી રહ્યા છે.
અનીલ કપૂરે આ પ્રકારે જવાબ આપ્યા બાદ સોશિયલ મીડીયામાં ઘણા ચાહકો પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું પહેલા અનિલ કપૂર ના પાડશે પછી શપથ લઇ લેશે. એક યુઝરે લખ્યું કે સલાહ ખરાબ નથી જયારે એક યુઝરે નાયક 2 બનાવાની વાત કરી.
નાયક ફિલ્મમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા અનિલ કપૂર
ઉલ્લેખનીય છે કે નાયક ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. એક દિવસમાં રાજ્યના વિકાસ અને કાયદો વ્યવસ્થા માટે ખુબ પૂર જોશમાં કામ કરે છે અને લોકપ્રિય બની જાય છે. એસ શંકર નિર્દેશિત આ ફિલ્મમાં રાની મુખર્જી, પરેશ રાવલ અને અમરીશ પૂરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.