વાવાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપરજોય વાવાઝોડાએ ઉત્તરપૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે. આજે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે.
બિપોરજોયને હવામાન વિભાગે આપી માહિતી
વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું
રાત્રે 11થી 11.30 વાગ્યા વચ્ચે થયું લેન્ડફોલ
આવતીકાલ સુધીમાં વાવાઝોડું પૂર્ણ થશે
કચ્છના જખૌ પોર્ટ નજીક ગઈકાલે રાત્રે લેન્ડફોલ થયા બાદ વાવાઝોડું હાલ જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે. આ વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે હવે વાવાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાએ ઉત્તરપૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ નજીક રાત્રે 11થી 11.30 વાગ્યા દરમિયાન લેન્ડફોલ થયું હતું. લેન્ડફોલ સમયે 125થી 140 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાયો હતો.
હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
વાવાઝોડું જખૌ પોર્ટથી 10 કિમી દૂર ઉત્તર દિશામાંથી થયું પસાર હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડફોલ 10.30થી 11.30 સુધી થયું હતું. હવે આ વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાને કારણે હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે.
દરિયાકિનારેથી 9 અને 10 નંબરનું સિગ્નલ હટાવાશે
તેમણે જણાવ્યું છે કે, આજે ઉ.ગુજરાત અને દ.ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. વાવાઝોડું નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મ થયાં બાદમાં ડિપ્રેશન બની પૂર્ણ થશે. વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે. ગુજરાતના દરિયાકિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત્ રહેશે. દરિયાકિનારેથી 9 અને 10 નંબરનું સિગ્નલ હટાવાશે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી
તેમણે જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના યથાવત છે.
શું કહ્યું IMDએ ?
IMDના ડિરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત બિપોરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને પાકિસ્તાનના દરિયાકાંઠાને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છને વટાવી ગયું છે. ચક્રવાત હવે દરિયામાંથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે. તેમણે કહ્યું કે, 16 જૂનની સાંજે ચક્રવાતી તોફાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ
વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામ તાલુકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભુજમાં 5, અંજાર અને મુન્દ્રામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો દ્વારકાના ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 29 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.