બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 કલાકમાં 8 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરમાં આફત, ગામો ટાપુ બન્યાં, પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યાં, 13 રસ્તા બંધ
Last Updated: 01:23 PM, 1 August 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ એવી તબાહી મચાવી છે કે અનેક ગામોનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. લખતર તાલુકામાં માત્ર 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, પોલીસ સ્ટેશનથી લઈને PGVCL કચેરી સુધીમાં પાણી ઘૂસી ગયાં. ખેતરો સમુદ્ર બની ગયા, ઘરોમાં પાણી ભરાઈ ગયા અને અનેક ગામો ટાપુમાં ફેરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં 13 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
લખતરમાં મેઘતાંડવ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં શનિવારે મેઘરાજાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું. માત્ર આઠ કલાકમાં આઠ ઇંચ વરસાદ પડતાં સમગ્ર તાલુકો જળબંબાકારમાં ફેરવાઈ ગયો. અનેક ગામોમાં બીજી વખત વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે, જ્યારે ત્રણ ઝૂંપડાં ધરાશાયી થતાં પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતો માટે મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT
પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસ્યાં
વરસાદની સ્થિતિ એટલી ગંભીર બની કે લખતર પોલીસ સ્ટેશન, PGVCL કચેરી અને ગ્રામ પંચાયતની ઓફિસોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાં. સરકારી કચેરીઓમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી અને કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉમય નદીમાં પાણીની આવક વધતાં આસપાસના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં છે. લીલાપુર, વડલા, માલિકા, તલસાણા, કલ્યાણપરા, ઢાંકી, ઇંગરોળી, ભડવાણા, ભાથરીયા, વરસાણી અને લરખડિયા સહિતના ગામોનો તાલુકા મથક સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.
ADVERTISEMENT
13 રસ્તા બંધ, અનેક તાલુકાઓનો સંપર્ક ખોરવાયો
ADVERTISEMENT
ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક કોઝવે પર પાણી ફરી વળતાં વહીવટી તંત્રએ સુરક્ષાના ભાગરૂપે કુલ 13 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા છે. લીંબડી, દસાડા, લખતર, મૂળી, થાનગઢ અને ચૂડા તાલુકાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્રએ લોકોને બંધ માર્ગો પર અવરજવર ન કરવા ખાસ સૂચના આપી છે.
દેદાદરા ગામ સંપર્કવિહોણું, લોકો ઘરવખરી બચાવવામાં વ્યસ્ત
ADVERTISEMENT
વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતાં સમગ્ર ગામનો સંપર્ક તૂટી ગયો છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરવખરી અને જરૂરી સામાન બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ડેમો છલકાયા, પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી
ADVERTISEMENT
સતત વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પણ નવા નીરની મોટી આવક થઈ છે. નાયકા ડેમ ઓવરફ્લો થતાં તેના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધોળી ધજા ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી છોડાતા ફુગાવા નદીના પટ અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વઢવાણ તાલુકાના મેમકા, તાવી, શિયાણી સહિત નળકાંઠાના ગામોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં પશુધન કે અન્ય કામ માટે ન જવા તંત્રએ લોકોને ચેતવણી આપી છે.
લીંબડી અને બલદાણા વિસ્તારમાં પાણીનો કહેર
લીંબડીના પાવર હાઉસ રોડ અને જીનપરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયાં છે. પાણીના નિકાલ માટે તંત્રએ તાત્કાલિક બે JCB ઉતારી નાળાંની સફાઈ શરૂ કરી છે. બીજી તરફ વઢવાણ તાલુકાના બલદાણા-ગોમટા રોડ પર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખારવા નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અવરજવર જોખમી બની ગઈ છે.
કરોડોના વિકાસના દાવા વચ્ચે વરસાદે ખોલી પોલ
દર વર્ષે ચોમાસા પહેલાં પૂરતી તૈયારીઓના દાવા કરવામાં આવે છે, પરંતુ થોડા કલાકોના વરસાદે જ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોની વાસ્તવિકતા સામે લાવી દીધી છે. ગામો સંપર્કવિહોણા બન્યા, સરકારી કચેરીઓમાં પાણી ઘૂસ્યાં, રસ્તાઓ બંધ થયા અને લોકો ઘરવખરી બચાવવામાં વ્યસ્ત બન્યા. હવે સવાલ એ છે કે વરસાદે તંત્રની તૈયારીઓની ફરી એકવાર પોલ ખોલી છે કે નહીં?
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.