8 નવેમ્બર 2016ની સાંજે સમગ્ર દેશ ટેલિવિઝન સામે ગોઠવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કાળા નાણાં વિરોધી ઝુંબેશ હેઠળ 500 અને 1000ની ચલણી નોટને કાગળનો ટુકડો ગણીને નવી 500 અને 2000ની નોટો જાહેર કરી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે એક પત્રકાર પરિષદમાં મોદી સરકારના આ પગલાંને એક ખુલ્લી અને કાયદેસર લૂંટ ગણાવી હતી જેમાં લોકોને તેમના રૂપિયા જમા કરાવાની ફરજ પાડવામાં આવી અને કેશ ઉપાડવા ઉપર મર્યાદા લાદવામાં આવી. તો આવો જાણીએ કે શું આ પગલું કાળું નાણું ડામવામાં સફળ રહ્યું કે પછી એક હેરાનગતિ જનક તાયફો બનીને રહી ગયું?
નોટબંધીને આજે ત્રણ વર્ષ પુરા થયા છે. મોદી સરકારના આ પગલાંને શરૂઆતમાં કેટલાય લોકોએ વધાવી લીધું હતું. આ પગલાંના ઉત્તમ પરિણામોની લોકો અપેક્ષા રાખતા હતા. જો કે વિશેષજ્ઞો અને વિપક્ષ આ પગલાંની પહેલેથી ટીકા કરી રહ્યા હતા. જયારે નોટબંધી તેના અપેક્ષિત પરિણામો ન લાવી શકી ત્યારે આ પગલાંની પ્રશંસા કરનારાઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
જો કે કેટલાક લોકોના મતે આ નોટબંધીનું અમલીકરણ અયોગ્ય હતું જયારે તેનો ઉદ્દેશ્ય ખુબ સારો હતો. તેનું અમલીકરણ એટલી હદે અયોગ્ય હતું કે વિપક્ષે સરકાર ઉપર આરોપ મુક્યો હતો કે નોટબંધીમાં લાંબી કતારમાં ઉભા રહેવાના કારણે અને હોસ્પિટલમાં કેશમાં ચુકવણી ન કરી શકવાને લીધે આશરે 100 લોકો મોતને ભેટ્યા હતા. જો કે સરકારે આ આરોપ ફગાવી દીધો હતો. નોબલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીના મતે આ પ્રકારના પગલાંઓ કેટલા સફળ પ્રમાણમાં સફળ રહ્યા તે માપવું લગભગ અશક્ય છે. જો કે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે.
શું આ રસ્તો કાળું નાણું ઘટાડવા માટેનો સૌથી યોગ્ય રસ્તો હતો?
2016માં અખબાર First Postના પત્રકાર હેપ્પી પંતના એક અહેવાલ મુજબ ભારતના IT વિભાગે સ્વીકાર્યું હતું કે સમગ્ર દેશના કુલ કાળા નાણાંના ફક્ત 5 થી 6% કાળું નાણું ચલણી નોટોના સ્વરૂપમાં હતું. બાકીનું નાણું જમીનો, સોનુ, વિદેશમાં વગેરેમાં ધરબાયેલું છે. શું 5 થી 6% કાળા નાણાં માટે આ તોતિંગ પગલું ભરવું વ્યાજબી હતું?
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે એક પત્રકાર પરિષદમાં મોદી સરકારના આ પગલાંને એક ખુલ્લી અને કાયદેસર લૂંટ ગણાવી હતી જેમાં લોકોને તેમના રૂપિયા જમા કરાવાની ફરજ પાડવામાં આવી અને કેશ ઉપાડવા ઉપર મર્યાદા લાદવામાં આવી.
દેશમાં કેશલેસ ઈકોનોમી માટે નોટબંધી જવાબદાર છે?
દેશમાં નોટબંધી બાદ ગ્રાહકો અને નાના વેપારીઓને નાણાંની તંગી સર્જાતા નાછૂટકે paytm wallet જેવી ડિજિટલ ટ્રાન્સેક્શન સુવિધાઓનો ઉપયોગ કરવો પડ્યો. આ ઉપયોગના કારણે કેશલેસ ઈકોનોમીને નોટબંધી સાથે જોડી દેવાઈ. જો કે નોટબંધીના ઉદ્દેશોની યાદીમાં કેશલેસ ઈકોનોમી હતી જ નહિ. આ ઉપરાંત વિવિધ અહેવાલો અનુસાર નોટોની તંગી ઓછી થઇ જતા દેશમાં ફરી એક વખત રોકડાનું ચલણ વધી ગયું અને ડિજિટલ ટ્રાન્સેક્શન્સનો ઉપયોગ ઘટી ગયો.
hindustan timesના પત્રકાર Appu Esthose Sureshએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે 2016ના આંકડા મુજબ દેશની કુલ પ્રજાના ફક્ત 28 થી 32% ભારતીયોના રહેઠાણની આસપાસ પોસ્ટ ઓફિસ, બેન્ક જેવી નાણાકીય સંસ્થાઓ હતી. જો 70% લોકો માટે આ સંસ્થાઓ સુધી પહોંચવું કઠિન હતું તો તેમના માટે કોઈ વ્યવસ્થા કેમ નહોતી કરવામાં આવી એ પ્રશ્નો પણ ઉઠ્યા હતા?
દુઃખદ વાત એ છે કે આ હેરાનગતિને રાષ્ટ્રવાદ સાથે સરખાવી દેવાઈ હતી અને આ લાંબી કતારોમાં ઉભા રહેવાને દેશ માટેના એક નાનકડા બલિદાનના સ્વરૂપમાં ગણાવામાં આવ્યું હતું જયારે દેશ માટે આ પગલું કઈ રીતે લાભદાયી બન્યું છે એવી કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી.
આ પગલાંથી દેશની બેંકોમાં મોટી સંખ્યામાં રોકડ જમા થઇ. કેટલાક નિષ્ણાતોના મતે આ પગલાંથી બેંકોની આર્થિક દશા અને NPA સુધરી જાય તેવી શક્યતા હતી. જયારે હાલ 2019માં બેંકોની NPAની હાલત વધુ કથળી છે જે દર્શાવે છે કે બેંકો પણ આ પગલાંનો કોઈ ફાયદો ન ઉઠાવી શકી.
કાશ્મીરના આતંકવાદ ઘટાડવાના હેતુમાં નોટબંધી નિષ્ફળ
નોટબંધી લાગુ થતા શરૂઆતના મહિનામાં આતંકવાદીઓના ભંડોળને ખરા અર્થમાં ફટકો પડ્યો અને કાશ્મીરમાં થતી આતંકવાદી પ્રવૃતિઓ ઉપર લગામ આવી ગઈ. જો કે આ શાંતિ ક્ષણભંગુર સાબિત થઇ અને થોડા જ સમયમાં કાશ્મીરમાં પહેલાથી પણ વધુ આતંકવાદ વકર્યો.
કાળું નાણું કાગળ બનીને અર્થતંત્રની બહાર ફેંકાઈ ગયું છે એવો દાવો કરનાર તમામ લોકો ત્યારે ચૂપ થઇ ગયા જયારે RBIએ એવો અહેવાલ આપ્યો કે કુલ નોટોની 99%થી વધુ નોટો white money તરીકે બેંકમાં ફરી જમા થઇ ગઈ છે અર્થાત આ સમગ્ર પ્રક્રિયા ફક્ત અને ફક્ત 1%થી પણ ઓછી નોટોને તંત્રમાંથી બહાર કાઢવા માટે કરવામાં આવી હતી.
RBI માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી?
India Todayના પત્રકાર કૌસ્તવ દાસના અહેવાલ મુજબ મોદી સરકારે ઓછામાં ઓછા ૩ લાખ કરોડના કાળા નાણાને અર્થતંત્રમાંથી કાઢી નાખવાનો ધ્યેય રાખ્યો હતો. જો કે ફક્ત એક જ વર્ષમાં બેંકમાં જમા થયેલા રકમ મુજબ ફક્ત 10,720 કરોડ જેટલી રકમ કાળા નાણા તરીકે અર્થતંત્રની બહાર નીકળી હતી. આમ સરકાર તેના ધ્યેયના ફક્ત ફક્ત 3.57% કાળું નાણું અર્થતંત્રમાંથી કાઢવામાં સફળ રહી હતી.
આમ 10,720 કરોડનું કાળું નાણું કાઢવા માટે RBIએ નવી 500 અને 2000ની નોટો છાપી હતી જેનો કુલ ખર્ચ તોતિંગ 13,000 કરોડ હતો.
હાલની તારીખે દેશની આર્થિક હાલત ડગુ મગુ છે. નિષ્ણાતો આ પાછળ ગ્રાહકોની માંગમાં નોંધાયેલો ઘટાડો સૌથી મોટું કારણ માને છે. આ માંગનો ઘટાડો સૌપ્રથમ નોટબંધીથી જ શરુ થયો હતો એ ઉલ્લેખનીય છે.