કોરોના વાયરસને કારણે, દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. કોરોનાનો ભય તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. મનોરંજન ક્ષેત્ર પણ કોરોના વાયરસથી પીડાઈ રહ્યું છે. થિયેટરો બંધ છે, કાર્યક્રમો અને ફિલ્મોની રિલીઝ ડેટ પણ ટાળવામાં આવી રહી છે. કોરોનાને કારણે, માયાનગરીની ગતિ પણ ધીમી પડી ગઈ છે. હવે ફિલ્મ સંસ્થાઓએ નક્કી કર્યું છે કે 19 થી 31 માર્ચ સુધી તમામ પ્રકારના શૂટિંગ મુલતવી રાખવામાં આવશે.
બધા ક્ષેત્રોની જેમ, મનોરંજન ક્ષેત્રને પણ કોરોના વાયરસના કારણે ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવી ગયો છે. હવે કલાકારો પરિસ્થિતિ સામાન્ય થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
માયાનગરીની ગતિ કોરોનાને કારણે ધીમી પડશે
19 માર્ચથી બોલિવૂડ, ઓટીટી અને ટીવી સેક્ટર્સ 31 માર્ચ સુધી લૉકડાઉન મોડમાં રહેશે. IMPPA, FWICE,IFTDA, WIFPA, IFPTC જેવા ફિલ્મ સંસ્થાઓએ કોરોનાને કારણે શૂટિંગ બંધ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આમ કરવાથી મનોરંજન ઉદ્યોગને સતત 15 દિવસ સુધી શૂટિંગ મુલતવી રાખીને કરોડોનું નુકસાન ભોગવવું પડશે.
સૂત્રો અનુસાર, જાન્યુઆરી 2020 થી ટીવી-બૉલીવુડમાં કાર્ય સુસ્ત રીતે ચાલી રહ્યું છે. હવે કોરોનાના જોખમને કારણે 15 દિવસમાં નુકસાન 100 કરોડથી વધુ થશે. અને શું ગેરેંટી છે કે શૂટિંગ ફરી શરૂ થશે અને 1 એપ્રિલથી વસ્તુઓ સામાન્ય થશે?
ટીવી સેક્ટર માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બોલિવૂડ અને ઓટીટીને શૂટિંગ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી. કારણકે તેમને ડેઈલી એપિસોડ્સ પહોંચાડવાની જરૂર નથી. પણ ટીવી ચૅનલોને તો મોટો ઝટકો લાગશે. દર્શકોને ડેઈલી એપિસોડ્સ પહોંચાડવા માટે ચૅનલોએ તો દરરોજ શૂટિંગ કરવું જરૂરી છે, પરંતુ સલામતીને જોતા, શૂટ ન થાય તેની ખાતરી લેવાઈ રહી છે.