અમદાવાદઃ કેન્દ્ર સરકારે દીકરી વરદાન છે તેવું સાબિત કરી દીધું છે. પીએમ મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જે દીકરીઓ માટે એક ભેટ સમાન સાબિત થશે.
આ યોજના અંતર્ગત માતા-પિતા અને પરિવાર પર કન્યાના લગ્ન અને ભણતરના ભાર ઘટાડવા આ સુકન્યા સમૃદ્ધિ યોજના લાગૂ કરાઇ છે. જેમાં સુરતના 70થી વધુ પરિવારોએ યોજનામાં ખાતા ખોલાવ્યા છે. સાથે સાથે તેઓ અન્ય દીકરીવાળા પરિવારોને આ મહત્વની યોજનાના ફાયદા-લાભો જણાવી રહ્યા છે.
આ સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો વધાવી રહ્યા છે. 25 ફેબ્રુઆરીથી સમગ્ર ભારતમાં આ યોજના પોસ્ટ ઓફિસમાં શરૂ થઇ હતી. દીકરીના ભવિષ્યને ઉજળું બનાવવા માટે આ યોજના શ્રેષ્ઠ નિવડે તેમ છે. હાલ તો સુરતની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા અને તેની માહિતી મેળવવા લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
માત્ર 1000 રૂપિયામાં ખુલી જશે ખાતું
માતા-પિતા અથવા પાલક દીકરી માટે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' હેઠળ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. આ યોજનામાં તારીખ 2.12.2003 અથવા તેના પછી જન્મેલી દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમવવામાં આવેલ ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. જે યોજના અંતર્ગત એક કુટુંબમાં વધુમાં વધું બે કન્યાઓના ખાતા ખોલી શકો છો. આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછા 1000 હજાર રૂપિયાથી ખાતું ખોલી શકો છો. નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુમાં વધુ 1 50 000 જમા કરાવી શકો છો. તેવું પોસ્ટ ઓફિસ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

તમે આ રકમ દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે ઉપાડી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના વર્ષ 2014-2015 માટે 9.1 % વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું હતું. જેને દર વર્ષે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર બદલાતું રહે છે. કન્યાઓનું ભણતર - લગ્ન સરળતાથી થાય તે માટે આ યોજના અંતર્ગત ખાતું ખોલાવવામાં આવે છે. ત્યાર બાદ 14 વર્ષ સુધી રૂપિયા જમા કરવાના રહેશે પછી ખાતું પાકતી મુદ્દતનું થાય છે. આ યોજનાની ખાસિયત છે કે કન્યાની ઉંમર 18 વર્ષની થાય તે પછી ઉચ્ચ શિક્ષણ માટે જમા થયેલી રકમમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાશે.

આ ખાતામાં જમા કરાવેલા રૂપિયા ઇન્કમટેક્સમાંથી મળશે બાદ
સુકન્યા સમૃધ્ધિ યોજના મુજબ દરેક દીકરીનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખુલી શકે છે. દીકરીની ઉમર અગાઉ જો 18 વર્ષ થયા બાદ લગ્ન થઇ જાય તો ખાતું બંધ થઇ જશે. આ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખોલાવવામાં આવેલું ખાતું નોકરીયાત-ધંધાર્થીઓ માટે પણ ફાયદાકારક છે. કારણ કે સરકારે આ ખાતામાં જમા કરાવવામાં આવનારી યોજનાને ટેક્સમાંથી મુક્તિ આપી છે. એટલે કે આ યોજના હેઠળ જમા કરેલ મૂડી ઇન્કમટેક્ષની 80Cમાં બાદ મળશે. આ ખુબ સારી બાબત છે કારણ કે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક બાબત છે.
દીકરી સાપનો ભારો નહીં પણ...
આ સુકન્યા સમૃધ્ધિ યોજના હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ જ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો લાગશે.