બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Yatradham Pavagadh Mataji right toe and fingers fell
Last Updated: 07:09 AM, 14 April 2024
પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. માતાજીના દર્શન કરવા હાલોલથી પાવાગઢ પહોંચ્યા બાદ માચી જવુ પડે, ત્યારબાદ માચીથી રોપવે મારફતે તેમજ રેવાપથથી દાદર ચઢીને મંદિર સુધી જવાય છે. માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં પુત્રી પાર્વતીના પતિ મહાદેવજીને આમત્રણ આપવામાં ન આવતા, અપમાન સહન ન થતા માં પાર્વતીજી યજ્ઞકુંડમાં કૂદીને પોતાની આહુતિ આપી દીધી જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવઃ કરવા લાગ્યા અને નૃત્યમાં જ પાર્વતીજીના અર્ધભસ્મ થયેલ દેહનું વિચ્છેદન કરતા માં શક્તિના દેહના અંગો ચારેય દિશામાં વિખેરાયા, માતાજીના અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યાએ પડ્યા અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે. યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ પડ્યા હતા. પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે.
ADVERTISEMENT

વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન પણ પાવાગઢ
બીજી એક માન્યતા અનુસાર ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢ ડુંગરની તળેટીમાં કઠોર તપ કરી મહાકાળી માતાજીને પ્રસન્ન કર્યા હતા. વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન પણ પાવાગઢ જ છે. પાવાગઢથી માચી જતા રસ્તામાં આવતા પુરાતન દરવાજાને પાર કરતા જ ભક્તિમય વાતાવરણનો અહેસાસ થવા લાગે છે. ઐતિહાસિક દરવાજાથી આગળ જતા હાલમાં જ નવા બનાવેલા સુંદર મોટા દરવાજા ભવ્ય વર્તમાનનો સાક્ષાતકાર કરાવે છે. રાજ્યના દૂર દૂરના જીલ્લાઓમાંથી વૃદ્ધ યુવાન ભાવિકોના પગપાળા યાત્રાસંઘ અખૂટ શ્રદ્ધા સાથે માતાજીના રથને લઈ ભજન કિર્તન સાથે પાવાગઢ આવતા જ્યાંથી પસાર થાય તે માર્ગનુ વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. ભાવિકો પોતાની આસ્થા સાથે માતાજીના શરણે આવી ધન્ય થાય છે તો એવા પણ માઈ ભક્તો છે જે પગપાળા ભાવિકોની સેવા કરીને ધન્યતા મેળવે છે.
ADVERTISEMENT

પદયાત્રીઓ માટે વિસામાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે
ADVERTISEMENT
પાવાગઢ પહોંચ્યા બાદ દર્શનાર્થીઓ બસ,લોકલ વાહન અને પોતાના વાહન દ્વારા માચી સુધી પહાડોના સુંદર સર્પાકાર દેખાતા ચારમાર્ગીય રસ્તા દ્વારા ખૂબ સલામત અને સરળતાથી સમયસર પહોંચી શકે છે. માચી સુધી પહોંચવા પહાડીઓમાં પહેલા એકમાર્ગીય રસ્તો હોવાના કારણે દર્શનાર્થીઓને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડતો હતો અને સમયનો પણ વેડફાટ થતો હતો હાલ પહાડીમાં ચારમાર્ગીય રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી દર્શનાર્થીઓ સરળતાથી મા ના દર્શને જઈ પોતાની માનતા બાધા પૂર્ણ કરી શકે છે. જે ભાવિકો પગપાળા માતાજીના દર્શને આવે છે તેમના માટે પણ નવા રસ્તા ખૂબ આશીર્વાદ સમાન છે કારણકે રસ્તાની બંને બાજુ ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે અને પદયાત્રીઓ માટે વિસામાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ભાવિકોને મફતમાં ચા નાસ્તો આપવામાં આવે છે.

ADVERTISEMENT
રેવાપથ પર થઈને એક હજાર આઠસો સીડીઓ ચડી માતાના ચરણોમાં જવાય છે
ઘણા એવા પણ ભાવિકો હોય છે જે માતાજીના ચરણો સુધી પહાડોના જુના કુદરતી રસ્તા પરથી જવાનુ પસંદ કરી પોતાની આસ્થાનો આત્મસંતોષ માને છે. માચી એક એવો વિસામો છે જ્યાં દર્શનાર્થીઓ માતાના દર્શને જતા પહેલા માતાજીના ચરણો નજીક પહોંચી ગયા અને દર્શન કરીને આવ્યા બાદ દર્શન થઈ ગયાનો હાશકારો અનુભવી વિરામ કરી લે છે. માચીથી મંદિર સુધી જે દર્શનાર્થીઓ ઉડનખટોલા થકી જવા ના માંગતા હોય તે રેવાપથ પર થઈને એક હજાર આઠસો સીડીઓ ચડી માતાના ચરણોમાં પોતાના શીશ ઝુકાવી ધન્ય થાય છે. મંદિરના વિકાસ સાથે માચીથી મંદિર જવા રેવાપથ પર નવા પગથિયા બનાવીને દર્શને જતા ભાવિકો માટે મોટી રાહત કરવામાં આવી છે.
ADVERTISEMENT
.png)
પાવાગઢ પર્વત સુંદર પૌરાણિક શિવાલયો અને જૈનમંદિરો આવેલા છે
ADVERTISEMENT
ઉડનખટોલાની વ્યવસ્થા સવારે 6.00 થી સાંજે 6.45 સુધી ખુલ્લી રાખવામાં આવે છે. મંદિરે જતાં ઉડનખટોલામાંથી દ્રશ્યમાન થતી મનોરમ્ય પ્રકૃતિ જાણે માતાજીના દર્શન પહેલા ભક્તોને કુદરતની સમીપ લઈ જઈ ભક્તિમાં લીન થવાનુ આહવાન કરતી હોય છે. પાવાગઢ પર્વત પર આવેલા સુંદર પૌરાણિક શિવાલયો અને જૈનમંદિરો ઈતિહાસને જીવંત રાખે છે તો તેની આસપાસના દુધિયા,છાસિયા અને તેલીયા તળાવોનો પણ અનોખો ઈતિહાસ છે. પર્વત પર મંદિરમાં પ્રવેશતા પહેલા સુંદર દ્વાર બનાવવામાં આવ્યા છે જેમાં શંકર ભગવાનના અલગ અલગ રુપના દર્શન થાય છે જ્યાં પૌરાણિક શિવલીંગ મંદિરના ઈતિહાસની સાક્ષી પુરાવે છે. મંદિરે પહોંચતા સીડીઓની જમણી બાજુ ભૈરવદાદા બિરાજે છે. ભાવિકો સૌપ્રથમ ભૈરવદાદાના દર્શન કરે છે અને જો પહેલા ભૈરવદાદાના દર્શન ના કરો તો દર્શનાર્થીઓના દર્શન અધૂરા ગણાય છે.

ભૈરવદાદાના દર્શન ના કરો તો દર્શનાર્થીઓના દર્શન અધૂરા ગણાય છે
પર્વતની ટોચ પર માતાજીના મંદિરમાં વચ્ચે સ્વયં પ્રગટ કાલીકા માતાજી અને પ્રતિષ્ઠામૂર્તિ મહાકાલીમાં બિરાજમાન છે. જ્યારે જમણી બાજુ લક્ષ્મીજી આસન શોભાવે છે. તો ડાબીબાજુ વિદ્યાની દેવી માં સરસ્વતી માતાજી બિરાજમાન છે. શારદાપીઠ હોવાથી બહુચરમાંનો ગોખ કહેવાય છે. મંદિરના દ્વાર પાસે જમણી બાજુ ગણેશજી બિરાજમાન છે. ડાબીબાજુ હનુમાનજી બિરાજે છે. બપોરે બાર વાગે માતાજીને ભોગ ધરાવવા મંદિરના મુખ્યદ્વાર બંધ કરવામાં આવે છે ત્યારે મંત્રોચાર અને મંદિરના ઘંટારવથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે. ભોગ ધરાવ્યા બાદ માતાજીના જયજયકાર સાથે મંદિરના દ્વાર માઈભક્તોના દર્શન માટે ફરી ખુલ્લા મુકવામાં આવે છે.
ભક્તો ઉંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવી ધન્યતા અનુભવે
મુખ્યદ્વારમાં માતાજીના ચરણ પાદૂકા રાખવામાં આવ્યા છે.. માતાજીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ અહિં પડ્યા હતા એટલે પાવાગઢમાં પાદૂકાપૂજનનુ વિશેષ મહત્વ છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો ઉંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવી ધન્યતા અનુભવે છે અને પોતાના રોકાઈ ગયેલા કામ માતાજીની માનતા રાખવાથી પુરા થવાની માન્યતા સાથે પ્રત્યક્ષ માં ના દર્શન કરી ભક્તો તેમની આસ્થા પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કરે છે.

આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્રમાંથી ખુબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, પગપાળા સંઘો માતાના દરબારમાં ગરબા અને માતાજીની સ્તુતિ ગાઈ સંગીત અને ડીજેના તાલે ભક્તિમાં મગ્ન બની જાય છે. લોકવાયકા પ્રમાણે પાંચસો વર્ષથી મંદિરના શિખર પર ધ્વજારોહણ નહોતુ થતુ કારણ કે શિખર ખંડીત હતુ ભારતિય સંસ્કૃતિ પ્રમાણે ખંડિત શિખર પર ધજા ના લગાવી શકાય. ચૌદ મહિનામાં મંદિરનુ નવીનીકરણ થતા નવા શિખર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યા બાદ ભક્તોની આસ્થાનો નવો દ્વાર ખુલી ગયો છે.

દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી ઓઢણી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂરી કરે છે
મા કાલિકાના દર્શને આવતા દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી ઓઢણી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂરી કરે છે. મંદિર પર ધજા ચડાવતા પહેલા ધજાને માતાજીના ચરણોમાં મુકવામાં આવે છે અને બાદમાં ધજાની પૂજનવિધી કરીને તેને શિખર પર ચડાવવામાં આવે ત્યારે વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગરબે ઘુમી વાતાવરણમાં ભક્તિમય તરંગો ઉત્પન્ન કરી દે છે. ઠંડી હવાની લહેરખી ભક્તોને સ્પર્શી જાણે તેમના થાકને વાતાવરણમાં વિખેરી નાખે છે, તો લહેરાતી ધજાઓ જાણે પવનની કણકણ સાથે દૂરદૂર સુધી ધર્મ સંસ્કૃતિને ફેલાવો કરે છે. ભક્તોમાં આસ્થા તો હતી જ પણ મંદિરના વિકાસ બાદ એકલા દર્શને આવતા ભક્તો હવે પરિવાર સાથે આવતા થયા છે, પહેલા વર્ષે લાખો ભક્તો આવતા હતા તે વધીને કરોડોની સંખ્યામાં આવતા થયા છે.
આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શનનો લાભ લે છે
ભાવિકો પોતાની અલગ અલગ માનતા પ્રમાણે માતાજીના શરણે આવે છે ઘણા ભાવિકો નગારા શરણાઈ સાથે આવે છે. આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શનનો લાભ લે છે.. મંદિરના નવીનીકરણ અને માતાજીના શરણે શાંતિના અનુભવ બાદ ભાવિકો ખૂબ જ ખુશી વ્યક્ત કરતા સંસારથી દૂર રહી અહિં માતાજીના ચરણોમાં બેસી રહેવાની પ્રબળ ઈચ્છા રાખે છે ભક્તિમાં લીન એવા મહાકાળીના આરાધક ભક્તો માતાજીના વેશ ધારણ કરીને મંદિરે આવતા હોય છે. પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ ખુબ જ આસ્થા લઈ પાવાગઢ ખાતે આવતા હોય છે.

સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે
પર્વતની ઉંચાઈ જોઈ આત્મવિશ્ર્વાસ ડગી જાય અને પગથીયા ચડતા જ શરીરમાં અલૌકીક શક્તિનો પ્રસાર પૂરા વિશ્ર્વાસથી માતાજીના મંદિર સુધી લઈ જાય એજ આસ્થાની અનેરી શક્તિ છે. વિવિધ સમાજની કુળદેવી માં કાળી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને અખૂટ શ્રદ્ધા ધરાવતા માં કાલીના કરોડો ભક્તો પાવાગઢ દર્શને આવી પોતાનામાં નવી શક્તિનો સંચાર મહેસુસ કરે છે. શુદ્ધ ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી બનતો સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે, સતત દર્શનાર્થીઓના ધસારાને ધ્યાને લઈ મંદિર પરિસરમાં નીચે દિવસ દરમ્યાન પ્રસાદ બનાવવાનુ ચાલુ જ રહે છે.
પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ ખુબ જ આસ્થા લઈ પાવાગઢ ખાતે આવતા હોય છે
ઉડનખટોલામાંથી ઉતર્યા બાદ મંદિરે પહોંચવા બીજી સીડીઓ ચડવી તે વૃદ્ધો માટે તકલીફ ભર્યુ છે, વૃદ્ધો પણ સરળતાની મંદિર સુધી લીફ્ટ મારફતે પહોંચી માતાના દર્શનનો લાભ લઈ શકે તે માટે લીફ્ટનુ કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. હિન્દુ ધર્મની સાથે સાથે પાવાગઢ પર જૈનદેરાસરો,મુસ્લિમ ધાર્મિક સ્થળો, સ્થાપત્યો અને 100 ઉપરાંત હેરિટેજ મોન્યુમેન્ટ્સ સાઇટ્સ પણ આવેલા હોઈ તમામ ધર્મના લોકો તેમજ પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ પાવાગઢની મુલાકાતે આવી માં ના દર્શન કરી કુદરતી વાતાવરણનો આનંદ લઈ નવી શક્તિનો સંચાર લઈ ધન્ય થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.