15 ઓગસ્ટ અને રક્ષાબંધનના તહેવારનો સુભગ સમન્વય છે. ભારતની આઝાદીની કિંમત દેશના ભાગલા રુપે આપણે ચુકવવી પડી અને એક નવા દેશ પાકિસ્તાનનો જન્મ થયો. ભારત અને પાકિસ્તાન બંને આમ તો એક જ દિવસે આઝાદ થયા હોવા છતાં પાકિસ્તાન 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવે છે.
જોકે તેના કારણો અંગે બહુ ઓછા લોકોને ખબર છે. એવું કહેવાય છે કે પાકિસ્તાને તેનો પહેલો સવતંત્રતા દિવસ 15 ઓગસ્ટે જ ઉજવ્યો હતો. પરંતુ પાછળથી તે તારીખ 14 ઓગસ્ટ થઇ ગઇ. ખુદ પાકિસ્તાનના જનક મુહમ્મદ અલી જિન્હાએ દેશના નામ તેમના પ્રથમ સંબોધનમાં 15 ઓગસ્ટની શુભેચ્છા આપી હતી. જોકે ઇતિહાસકારોએ લખેલા કેટલાક પુસ્તકોમાં તારીખ બદલવા અંગે જુદા જુદા કારણોનો ઉલ્લેખ કરાયો છે.
તે મુજબ ભારતની સ્વતંત્રતા અંગેનું બિલ 4 જુલાઇએ બ્રિટિશ સંસદમાં રજુ થયું હતું. તેને 15 જુલાઇએ મંજુરી મળી હતી. આ બિલ મુજબ 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એમ બે દેશોનું સર્જન થવાનું હતું. પાકિસ્તાની ઇતિહાસકાર કે.કે.અઝીઝ તેમના પુસ્તક 'મર્ડર ઓફ હિસ્ટ્રી'માં લખે છે કે બંને દેશોને સત્તાની સોંપણી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા કરવાની હતી.
વાઇસરોય એક જ સમયે દિલ્હી અને કરાંચીમાં હાજર ન રહી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ કરી દેવાયો. બીજો તર્ક એવો પણ છે કે બંને દેશોને આઝાદી એકસાથે મળી હતી પરંતુ પાકિસ્તાનને તે અંગેના દસ્તાવેજો એક દિવસ પહેલા મળ્યા હતા. તેથી પાકિસ્તાન એક દિવસ વહેલા સ્વતંત્રતા દિવસ મનાવે છે.
કેટલાક મીડીયા રિપોર્ટ મુજબ 1947ની 14મી ઓગસ્ટે રમજાન માસનો 27મો દિવસ એટલે કે શબ-એ-કદ્ર હતો. ઇસ્લામિક માન્યતા મુજબ તેમનો પવિત્ર ગ્રંથ કુરાન તે રાતે અમલમાં આવ્યો હતો. તેથી 14 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો.