‘સત્તર વરસની કુંદન ફાઇવસ્ટાર હોટલ જેવી એક હોસ્પિટલમાં બેસીને રડી રહી હતી. તેની આજુ બાજુ પસાર થતી નર્સ તેને કહેતી કે હવે રડવાનું બંધ કર અને અહીં રહેવાની ટેવ પાડી દે. અહીં રહેવાની.. એટલું સાંભળતા જ તેનો ગળામાં જ ભરાઇ રહેલો ડૂમો મોટા અવાજ સાથે બહાર આવી ગયો. પાસેના રૂમમાંથી નિમીષા બહાર આવી અને કહેવા લાગી કે પહેલી વખતનું છે. કુંદને હામાં માથુ ધુણાવ્યુ, નિમીષા નજીક જઇ તેને હાથ ફેરવતા કહેવા લાગી ચિંતા ના કર અહીં ઘણા બધા આપણા જેવા છે. સમય સાથે બધુ બરાબર થઇ જશે. ત્યાં જ કુંદન કહે પણ મારે ઘરે જવું છે મને મા યાદ આવી છે. નિમીષા કહે હવે તો નવ મહીના પછી જ જવા મળશે. કુંદન આસું સારતી નિમીષાને વળગી રહી.’ આ આખો સંવાદ બે સરોગેટ માતા વચ્ચેનો હતો. આ બન્ને માંથી એક પણ દિકરી મરજીથી નહી પરંતુ મજબૂરીથી સેરોગેશી માટે તૈયાર થઇ હતી. અને તેમાં પણ કુંદન તો હજુ નાની હતી. તેને તો માતા-પિતા અહીં મુકીને અમે થોડા દિવસોમાં આવીશું કહી ચાલ્યા ગયા હતા. આવી એક, બે નહીં પરંતુ અનેક કુંદન આવી હોસ્પિટલોમાં સરોગેશી માતાના નામે શોષણનો ભોગ બને છે.
સરોગેશી માટે 17 વર્ષથી લઇ 24 વર્ષની યુવતીઓને પસંદ કરાય છે
સરોગેશીનું માર્કેટ એક અંદાજ પ્રમાણે 63થી 70 અરબ રૂપિયા જેટલું છે
સૌથી વધુ ગુજરાતની યુવતીઓની પસંદગી કરવામાં આવે છે
સરોગેશીનું હબ
દેશની વાત કરીએ તો સરોગેશીનું માર્કેટ એક અંદાજ પ્રમાણે 63થી 70 અરબ રૂપિયા જેટલું છે. ગર્ભ ધારણના સમય દરમિયાન સરોગેટ માતાઓ માટે સમુહમાં આરામ કક્ષ એટલે કે ડોમેટ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે. જે બેબી ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. નિઃસંતાન દંપતીને આ રીતે સંતાન પ્રાપ્તિ થાય છે. પરંતુ એ મહિલાઓની પરિસ્થિતી ખરેખર દયનીય છે જે પૈસા માટે પોતાની કુખ ભાડે આપે છે. બીજાના ભ્રૂણને વહન કરે છે. આ રીતે નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ કરાવવા માટે આખા દેશમાં આણંદ શહેર જાણીતુ છે. ત્યાં ઘણી એવી હોસ્પિટલો છે જેના નામ નહીં આપીએ તો પણ બધાને ખબર જ હશે કે આ જ બેબી ફેક્ટરી છે. આણંદમાં ચાલતા આ કાર્ય માટે ડોક્ટરો પાસે એજન્ટ હોય છે. જે 17 વર્ષની બાળકીઓથી લઇ 24 વર્ષની યુવતીઓને આ કાર્ય માટે શોધે છે. એટલુ જ નહીં આ માટે તેમના માતા-પિતાને પણ તૈયાર કરે છે. જ્યારે આ કામ માટે એવી મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના લગ્ન પછી ડિવોર્સ થઇ ગયા હોય, અથવા તો મોટી ઉંમર થવા છતા લગ્ન ના થતા હોય, કમાણીનો અન્ય વિકલ્પ ના હોય.
શું કહે છે એજન્ટ
એજન્ટ મોહિત પટેલ (નામ બદલ્યું છે) વી ટીવી વેબ સાથે વાત કરતા કહે છે, “માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઘણીવાર બિહાર અને નેપાળ જેવા અનેક સ્ટેટ માંથી યુવતીઓને લાવીએ છીએ. નિઃસંતાન દંપતી સૌથી વધુ ગુજરાતની યુવતીઓ પર પસંદ ઉતારે છે. જ્યારે વિદેશી દંપતીઓ ગુજરાતની છોકરીઓ જ સેરોગેટ માતા બની પોતાના બાળકને જન્મ આપે તેવો આગ્રહ રાખે છે. આ માટે જરૂરિયાતવાળા પરિવારને શોધવામાં આવે છે. તે પોતાની દિકરી આ કામ કરવા માટે તૈયાર છે તેમ કહે ત્યારે ટોકન તરીકે 70 હજાર રૂપિયા આપવામાં આવે છે. બેથી ત્રણ દિવસમાં યુવતી હોસ્પિટલ પર આવે છે અને તેના તમામ રીપોર્ટ થાય છે. પછી આગળની પ્રકિયા શરૂ થાય છે. જો યુવતીને એક બાળક હોય તો પરિવારને ચાર લાખ રૂપિયા અને ટ્વીન્સ એટલે કે જોડિયા બાળક રહે તો છ લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે નિઃસંતાન દંપત્તી એક બાળકના 12થી 15 લાખ અને ટ્વીન્સ બાળકના 25 લાખ સુધી ચૂકવતા હોય છે. એક વખત યુવતી પ્રેગ્નેન્ટ રહે પછી બાળકને જન્મ ના આપે ત્યાં સુધી તે હોસ્પિટલની બહાર જઇ શકતી નથી. એટલુ જ નહીં માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યને પણ મળી શકતી નથી. આ બધું થવા છતા પણ પ્રેગ્નેન્સી દરમિયાન કે પછી બાળકના જન્મ સમયે સેરોગેટ માતાને કશું પણ થાય તો હોસ્પિટલ, ડોક્ટર, કે પછી સંતાન પ્રાપ્તિ માટે પૈસા ખર્ચ કરતા દંપતીની કોઇ જવાબદારી રહેતી નથી. આમ તો સરોગેટ માતાની ભૂમિકા સબંધીની હોય છે પરંતુ અહીં કોઇને કોઇ સબંધ ઉભો કરવામાં આવે છે. સેરોગેટ માતા બનતી માત્ર એક ટકા મહિલા જ સબંધી હોય છે. બાકી દરેક કુખ ભાડે હોય છે.”
સરોગેટ માતાની વેદના
17 વર્ષની હેમા કહે છે કે “મને અહીં રહેવુ ગમતું નથી પણ મારા કાકા મને અહીં મુકી ગયા છે. માતા-પિતા મરી ગયા છે અને કાકા કાકી સાથે રહું છુ. મે ના કહ્યું તો પણ મને અહીં રાખવામાં આવી છે ગામડે તો બધાને એમ છે કે મને શહેરમાં ભણવા મુકી છે મને પણ એમ કહીને જ અહીં લાવવામાં આવી હતી. અહીં કેવી કેવી દવા અને ના ભાવતી વસ્તુ પણ મને ખવડાવે છે. મારી સાથે ઘણી બધી બીજી છોકરીઓ પણ છે.”
દરેક ડોક્ટર એક જેવા નથી હોતા
ડોક્ટર માનસી કહે છે કે, “સેરોગેટ મધર તે નિઃસંતાન દંપતી માટે છેલ્લો રસ્તો છે. જ્યારે અત્યારે તો બાળકના થાય તો ધનિક લોકો આ જ રસ્તો અપનાવે છે. તો વળી ઘણા એવા કેસ પણ છે જેમાં માતા બનવા ન માગતી મહિલાઓ લાખોના ખર્ચે આ આ રીતે બાળકની માતા બને છે અને દુઃખ એ વાતનું છે કે ડોક્ટર પણ કમાણીના ભાગ રૂપે માસૂમ બાળકીઓનો ભોગ લે છે. મરજી અને મજબૂરી વચ્ચે ઘણું અંતર હોય છે અને તેના સ્પષ્ટીકરણ પછી જ સેરોગેશી માટે નિર્ણય લેવો જાઇએ.”
વિદેશી લોકો વધુ આવે છે
સરોગેટ માતા માટે સૌથી વધુ વિદેશથી લોકો આવે છે. જેમાં ફોરેનરોની સાથે એનઆરઆઇ પણ હોય છે. દિકરી બચાવો જેવા મુદ્દાને લઇને હવે બહારથી આવતા એનઆરઆઇને તો ખાસ કરીને દિકરી જોઇએ છે તેવી રજૂઆત પણ ડોક્ટર આગળ કરતા હોય છે. અને ડોક્ટરો પણ ભગવાનનું બીજું સ્વરૂપ છે તેવુ સાંભળી સાંભળીને પોતે ભગવાન હોય તેમ દંપતીને આશ્વાસન આપે છે કે તમારે દિકરી જોઇતી હશે તો દિકરી જ આવશે. માટે જેમ અનાથ આશ્રમમાં બાળકીઓને દત્તક લેવા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે તેમ જ આવી હોસ્પિટલોમાં પણ બાળકીઓ માટે વધુ રકમ દંપત્તી પાસેથી વસૂલવામાં આવે છે.