સરકારી દવાખાનાનું નામ સાંભળતા આપણને ગંદકી અને અવ્યવસ્થા આંખ સામે તરી આવે. પરંતુ એક એવું દવાખાનું છે જ્યાં બીમાર ન હોઈએ તો પણ મુલાકાત લેવાનું મન થાય. જામનગર જીલ્લામાં એક એવું આરોગ્ય કેન્દ્ર છે જ્યાંનું વાતાવરણ જ દર્દીઓની અડધી બીમારી દૂર કરી દે છે.
બે હજારની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ વસઈ છે. આ ગામ આજકાલ તેના આરોગ્ય કેન્દ્રના કારણે વધારે પ્રખ્યાત બન્યું છે. વસઈ ખાતે આવેલા આ કલાત્મક રંગોથી રંગેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યાધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. આજુબાજુના અન્ય ગામડાઓ માટે પણ આ ગામ આદર્શ બન્યું છે. આ આરોગ્ય કેન્દ્રમાં આજુ બાજુના 11 ગામના લોકો તબીબી સારવાર માટે આવે છે. અહીં સ્થાનિક કક્ષાએ જ મળતી પૂરતી સુવિધાઓને કારણે લોકોને દૂર શહેરમાં હોસ્પિટલ સુધી લાંબું થવું નથી પડતું.
તમામ સુવિધાઓ અને વિભાગો ઉપલબ્ધ
આ આરોગ્ય કેન્દ્ર માત્ર આરોગ્યની સેવાની બાબતમાં જ નહીં. પણ સ્વચ્છતાને લઈને પણ આ આરોગ્ય કેન્દ્ર અનેક સરકારી કચેરી માટે આદર્શ બન્યું છે. જન આરોગ્યની સેવા ઉપરાંત અહીં સાફ સફાઈને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. જેને કારણે આ રોગ મુક્તિધામને છેલ્લા ચાર વર્ષથી સ્વચ્છતાનો કાયાકલ્પ એવોર્ડ પણ પ્રાપ્ત થતો રહે છે. એક દવાખાનાની વ્યાખ્યામાં આવતી મોટાભાગની તમામ સુવિધાઓ અને વિભાગો અહીં ઉપલબ્ધ છે. આ સુવિધા એક માત્ર વસઈ પુરતી ન રહેતા આજુબાજુના અગિયાર ગામડાઓ માટે જીવન દાયિની સાબિત થઇ છે.
વસઈ આરોગ્ય કેન્દ્રને NSQS સર્ટિફિકેટ મળ્યું છે
પ્રાથમિક આરોગ્ય કેદ્રને છાજે એવા અલગ અલગ વિભાગો જેમ કે ઓપીડી, લેબોરેટેરી, લેબરરૂમ, આઇપીડી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, મેડીસીન રૂમ, ઉપરાંત સ્ત્રી-પુરુષ દર્દીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક આરોગ્ય કેન્દ્રના તમામ માપદંડોમાં ખરું ઉતરેલું આ આરોગ્ય કેન્દ્ર. આરોગ્ય ઉપરાંત જનરલ એડમિનિસ્ટ્રેશનમાં અલગ અલગ કુલ 1361 મુદ્દાઓ ગુણવત્તાની બાબતમાં ખરુ ઉતર્યું હતું. આ તેનું જ કારણ છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઇએ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સ્કોરે પ્રાપ્ત કરેલો છે. તાજેતરમાં આ આરોગ્ય કેન્દ્રને NSQS સર્ટિફિકેટ મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં વસઈ સહિત એનક્યૂએએસ સેર્ટિફિકેટ મેળવનાર ફક્ત ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. જેમાંના બે કેન્દ્રો બોટાદના છે એક કેન્દ્ર જામનગર જિલ્લાના જામ વંથલીનું છે જે NSQS સર્ટિફિકેટથી સન્માનિત થયાં છે.
આ આરોગ્ય કેન્દ્ર અન્ય દવાખાના અને કચેરીઓ માટે ઉદાહરણરૂપ
અન્ય સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફથી માંડીને સ્વચ્છતા અને આરોગ્યની કથળતી હાલતની સતત ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે વસઈનું આ આરોગ્ય કેન્દ્ર અન્ય આરોગ્ય કેન્દ્ર અને સરકારી કચેરી માટે ઉદાહરણરૂપ છે. જો કે આ કામ સાચી ફરજનિષ્ઠા અને ઉત્તમ સેવા ભાવના વગર શક્ય નથી. દર્દીઓ માટે દેવ સમાન ડૉક્ટર અજય વકાતરને વીટીવીના ખૂબ ખૂબ અભિનંદન...