ભારતના અબજોપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓનો નજીકના ભવિષ્યમાં અંત આવે તેમ લાગતું નથી.
અનિલ અંબાણીની રિલાયન્સ ઉપર મોટા કૌભાંડના આક્ષેપથી ખળભળાટ
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલો અનુસાર ભારતની ત્રણ સરકારી બેંકો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે અનિલ અંબાણીની ત્રણ કંપનીઓ રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ ટેલિકોમના બેન્ક ખાતાઓ ઉપર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે.
અહેવાલ પ્રમાણે આ ત્રણેય કંપનીઓનું દેવું આ પ્રમાણે છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન : 49 હજાર કરોડ
રિલાયન્સ ટેલિકોમ : 24 હજાર કરોડ
રિલાયન્સ ઇન્ફ્રા : 12 હજાર કરોડ
કુલ રકમ : 86 હજાર કરોડ
હજુ આ રકમમાં સ્પેક્ટ્રમ પેમેન્ટના 28 હજાર કરોડ રૂપિયા તો ગણવામાં આવ્યા જ નથી. જો આ આંકડો ધ્યાને લેવામાં આવે તો આ દેવું ઉદ્યોગપતિ વિજય માલ્યા કરતા દસ ગણું મોટું છે. વિજય માલ્યાનું દેવું 9 હજાર કરોડ છે. નીરવ મોદીનું દેવું 7 હજાર કરોડ જેટલું છે.
કંપનીનું દેવું 26000 કરોડ જ છે: RCOM ગ્રુપનો દાવો
આ મુદ્દે રિલાયન્સ કોમ્યુનિકેશને ટિપ્પણી કરી છે કે સોશ્યલ મીડિયા ઉપર RCOM ગ્રુપના 86,000 કરોડના દેવામાં સમાચાર ખોટા છે. કંપનીએ દાવો કર્યો છે કે કંપનીનું દેવું બેંકરપ્સી બોર્ડ દ્વારા 26000 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ રકમની ઓછામાં ઓછી 70% રકમ લેણદારો પાછી મેળવી શકશે.
નોંધનીય છે કે આજથી એક વર્ષ પહેલા એક ફોરેન્સિક ઓડિટમાં ત્રણ અનિલ અંબાણીની કંપનીઓના 5500 કરોડના શંકાસ્પદ ટ્રાન્સેક્શન્સ પકડાયા હતા. માર્ચ 2017થી માર્ચ 2018ની વચ્ચે લાખોની સંખ્યામાં ટ્રાન્સેક્શન્સ થયા હતા. આ ટ્રાન્સેક્શનને ફંડ ડાયવર્ઝન માનવામાં આવે છે.
અનિલ અંબાણીની મુશ્કેલી વધી શકે છે
આ અહેવાલ અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. નોંધનીય છે કે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અત્યારે બેંકરપ્સી પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે. એવામાં આ અહેવાલના પગલે અનિલ અંબાણીના એસેટ ખરીદવામાં રસ ધરાવતા ખરીદારો પુન:વિચાર કરી શકે છે અને તેમના એસેટ ન વેચાતા તેમના દેવાની ચુકવણી વધુ લંબાઈ શકે છે.