ભાદરવાની ગરમીની જગ્યાએ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
રાજ્યમાં આ વર્ષે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. વાયું સાયક્લોન બાદથી રાજ્યમાં સતત મેઘરાજાએ કૃપા વરસાવી છે. અત્યાર સુધી 90 દિવસમાં સરેરાસ 99 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે. જેથી પાણીની સમસ્યા દુર થઇ છે. તો પુરતા વરસાદને લઇને ધરતીપુત્રો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત:
નવસારીમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે દિવસભર સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે. પૂરતા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જલાલપોરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો વાદળછાયા વાતાવરણમાં સુરતમાં ઝરમર વરસાદ સવારના સમયે નોંધાયો હતો જ્યારે 24 કલાકમાં શહેરમાં 20મીમી વરસાદ નોંધાયો હતો. શહેરના વરાછા, અડાજણ, પૂણા ગામ, અમરોલી વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
ઉત્તર ગુજરાત:
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેધરાજા મહેરબાન થયા છે. સાબરકાંઠાં, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠાં સહિત સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે. ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત મેઘમહેરથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. તો ભારે વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 34 દિવસમાં પાણીની સપાટી 23.74 ફૂટ વધી છે. દોઢ વર્ષ બાદ ડેમની જળસપાટી 50 ટકાને પાર થતાં લોકોમાં ખુશીનો માહોલ છે.
સોરાષ્ટ્ર:
સોરાષ્ટ્રમાં પણ મેધરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે તોફાની નદીના કારણે જટાશંકર નજીક લોકો ફસાઇ ગયા હતા. ત્યારે ફસાયેલા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ તમામ 25 પર્યટકોનું રેસ્ક્યુ કર્યું હતું. તો ગીરસોમનાથમાં ભારે વરસાદથી હિરણ 2 ડેમ ઓવરફલો થયો થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના થોરિયાળી ડેમ ઓવરફ્લો થતાં નીંચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી:
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે જેથી આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ થશે. જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌથી વધુ અસર કચ્છમાં દેખાશે. માછીમારોને 2 દિવસ 6 અને 7 સપ્ટેમ્બરે દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. ચાલુ સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે. જ્યારે હજુ પણ રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં ચાલુ સિઝનમાં 99.04 ટકા વરસાદ વરસ્યો છે.