શ્રીલંકા અને ઝિમ્બાબ્વેએ વિશ્વ ક્રિકેટને ઘણાં દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓ આપ્યા છે. આ બંને દેશોમાંથી ઘણાં સ્ટાર ક્રિકેટરોએ પોતાની આગવી ઓળખ બનાવી છે. પણ આજે બંને દેશોની ક્રિકેટની સ્થિતિ નિરાશાજનક છે.
શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનાં ક્રિકેટરો હાલ પોતાની ઓળખ પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે
આઈસીસી વર્લ્ડકપમાં પણ રમી ચૂક્યા છે
ત્રણ ખેલાડીઓ બસ ડ્રાઇવર બની ચૂક્યા છે
ઈન્ટરનેશનલ ટીમનો ભાગ રહેલા ખેલાડીઓ હવે બસ ડ્રાઇવર
શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનાં ક્રિકેટરો હાલ પોતાની ઓળખ પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. અને અમુક ખેલાડીઓ તો ક્રિકેટ છોડવા પર પણ મજબૂર થયા છે. જેમાંથી ત્રણ ખેલાડીઓ બસ ડ્રાઇવર બની ચૂક્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ત્રણેય ક્રિકેટરોએ ભારત સામે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમાંથી બે ખેલાડી તો વર્લ્ડકપ પણ રમી ચૂક્યા છે. શ્રીલંકાનાં બે પૂર્વ ક્રિકેટર સૂરજ રણદિવ અને ચિન્તકા જયસિંઘે તેમનાં દેશ તરફથી આઈસીસી વર્લ્ડકપમાં પણ રમી ચૂક્યા છે. બંને એક સમયે ટીમનો ભાગ હતા. પણ હવે ક્રિકેટનું મેદાન છોડીને રસ્તા પર બસ ચલાવવા મજબૂર બન્યા છે. તે ઉપરાંત ઝિમ્બાબ્વેનાં પૂર્વ બોલર વાડિંગ્ટન વાયેંગા પણ હવે બસ ડ્રાઇવર બની ગયો છે.
શ્રીલંકાનો પૂર્વ સ્પિનર સૂરજ રણદીવ હાલ 36 વર્ષનો થયો છે. તેણે 2009 અને 2010માં ભારતની સામે વનડે અને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે શ્રીલંકાની ટીમનો મહત્વનો ભાગ હતો. રણદીવે કુલ 50 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે અને 86 વિકેટ ઝડપી છે. સૂરજ 2011માં મુંબઈના વાનખેડેમાં રમાયેલા વનડે વર્લ્ડકપની ફાઈનલમાં શ્રીલંકા ટીમનો ભાગ હતો. તે મેચને જીતીને ભારતીય ટીમે ધોનીની આગેવાનીમાં બીજી વાર વર્લ્ડકપ જીત્યો હતો. રણદીવ એક ઘટનાથી ખૂબ ચર્ચામાં આવ્યો હતો. 2010માં એક મેચ દરમિયાન વિરેન્દ્ર સેહવાગ 99 રન પર બેટીંગ કરી રહ્યો હતો અને ભારતને જીત માટે એક રનની જરુર હતી. પણ બોલિંગ કરી રહેલા રણદિવે જાણીજોઈને સહેવાગનું શતક પૂરુ ના થાય તે માટે નો બોલ નાખ્યો હતો. જેનાં લીધે તેનાં પર એક મેચનો બેન અને ફી પણ કાપી લેવામાં આવી હતી. સૂરજ એક સમયે આઈપીએલ પણ રમ્યો હતો જેમાં તે સીએસકે સાથે જોડાયો હતો.
6yrs ago on this day,Hewa Kaluhalamullage Suraj Randiv Kaluhalamulla did this,was hit fr a 6,but I remained 99notout pic.twitter.com/iwhOFdtQNL
શ્રીલંકા તરફથી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી ચૂકેલા ઓલરાઉન્ડર ચિન્તકા જયસિંઘે હવે 42 વર્ષનો છે. જે હાલ રણદિવની સાથે ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવી રહ્યો છે. જયસિંઘેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર લાંબુ નહોતુ ચાલ્યું તેમ છતાં તે ટીમનો મહત્ત્વનો ભાગ હતો. તેણે શ્રીલંકા તરફથી પાંચ ટી-20 મેચ રમી અને 49 રન બનાવ્યા હતા. તેણે પોતાનાં ક્રિકેટ કરિયરની શરુઆત ભારત સામે કરી હતી, 2009માં નાગપુરમાં ટી-20માં તેણે ડેબ્યૂ કર્યું હતું. જયસિંઘે જયસૂર્યા, મુરલીધરન, સંગાકારા, જયવર્ધને, દિલશાન જેવા દિગ્ગજો સાથે રમ્યો હતો અને 2010માં ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમનો ભાગ હતો.
ફ્રાન્સની એક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે
ઝિમ્બાબ્વેનાં ઓલરાઉન્ડર વાડિંગ્ટન વાયેંગાએ કુલ ચાર આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. તેણે 2005માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જે મેચ તેની પહેલી અને છેલ્લી ટેસ્ટ પણ હતી. જે મેચમાં તેને દસમા નંબર પર બેટીંગ કરવાની તક મળી હતી અને 7 બોલમાં તેણે નોટઆઉટ 14 રન બનાવ્યા હતા અને બોલિંગ કરતા તેણે સૌરવ ગાંગુલીની વિકેટ લીધી હતી. તે સમયે ભારતીય ટીમ સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેનાં ટૂર પર હતી. હરારેમાં રમાયેલ સિરીઝની બીજી ટેસ્ટમાં ભારતે દસ વિકેટથી જીત હાંસલ કરી હતી. જે મેચમાં 12 વિકેટ લેનાર ઈરફાન પઠાણ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા આ ત્રણેય ખેલાડીઓ હાલ ઓસ્ટ્રેલિયામાં પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. મેલબોર્નમાં ત્રણેય ફ્રાન્સની એક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. જોકે ત્રણેય ફરીથી ક્રિકેટ રમવા ઇચ્છે છે અને પોતાની એક ક્રિકેટ ટીમ બનાવીને ક્લબ ક્રિકેટ રમવા ઈચ્છે છે.