એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે રમાનારી ટી-૨૦ શ્રેણી માટે બીસીસીઆઇએ પાંચ ખેલાડી મોકલવા માટે તૈયારી કરી લીધી છે. બીસીસીઆઇના જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જનું કહવું છે કે માર્ચમાં રમાનારી આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના ખેલાડી બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશ પોતાના રાષ્ટ્રપિતા બંગાબંધુ શેખ મુજિબર રહેમાનનો ૧૦૦મો જન્મદિવસ મનાવી રહ્યું છે, જે અંતર્ગત બે ટી-૨૦ મેચની આ શ્રેણી રમાશે.
કયા ખેલાડીની થશે રિ-એન્ટ્રી?
બાંગ્લાદેશની સામે રમશે આ ખેલાડી
આ શ્રેણીમાં મહેન્દ્રસિંહ ધોનીનું રમવું લગભગ નક્કી જ છે, કારણ કે ધોની ટી-૨૦ ટીમથી બહાર છે. આથી તેને મેદાનમાં ઊતરવા આડે કોઈ અડચણ છે નહીં. બીસીસીઆઇ આસાનીથી તેનું નામ મોકલી શકે છે, કારણ કે માર્ચમાં જ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમવાની હોવાથી મોટા ખેલાડીઓ બાંગ્લાદેશની શ્રેણી માટે ઉપલબ્ધ નહીં હોય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખુદ ધોનીના નામની ભલામણ કરી છે.
બાંગ્લાદેશ બોર્ડે ધોની, વિરાટ, બૂમરાહ, હાર્દિક, જાડેજા, ભુવનેશ્વર અને રોહિત શર્માની માગણી કરી છે, પરંતુ આમાંથી કોને બાંગ્લાદેશ મોકલવા તે અંગેનો નિર્ણય બીસીસીઆઇ કરશે.
બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું, ''બાંગ્લાદેશમાં રમાનારી શ્રેણી માટે અમે અમારા પાંચ ખેલાડી નક્કી કરી લીધા છે. જોકે બીસીસીઆઇ માટે મોટા ખેલાડીઓને મોકલવા આસાન નથી, કારણ કે આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમશે.'' ધોની ટીમ ઇન્ડિયા તરફથી હાલ રમતો નહીં હોવાને કારણે બાંગ્લાદેશની ધરતી પરથી તે ક્રિકેટમાં વાપસી કરશે એ લગભગ નક્કી જ છે.