BMC ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મોટી જીત મેળવી છે. દેશની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશન પર કંટ્રોલ મેળવ્યો છે. આ વિજય સાથે હવે બધાની નજર મુંબઈના આગામી મેયર કોણ બનશે તેના પર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક નિવેદન આપ્યું હતું કે "મુંબઈનો આગામી મેયર હિન્દુ અને મરાઠી હશે." હવે જ્યારે પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે ત્યારે ફડણવીસનું વચન માત્ર રાજકીય નિવેદન કરતાં વધુ બની ગયું છે, પરંતુ ભાજપ માટે પણ એક મોટો પડકાર અને મોકો પણ બની ગયું છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) 2026 ની BMC ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. દેવેન્દ્ર ફડણવીસના "મેયર હિન્દુ અને મરાઠી હશે" ના નિવેદન બાદ આ માપદંડને પૂરા કરતા ઉમેદવારો અંગે પાર્ટીની અંદર ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ચાલો તેવા 5 નામો વિષે જાણીએ.
- તેજસ્વી ઘોસાલકર
દહિસર (વોર્ડ નં. 2) થી 10,000 થી વધુ મતોથી જીતનાર તેજસ્વી અત્યારે ભાજપની સૌથી મોટી "પોસ્ટર ગર્લ" છે. તેન ઉદ્ધવ જૂથના ગઢમાં સ્થાન બનાવ્યું છે. તે યુવાન, શિક્ષિત છે અને મુખ્યમંત્રીના "મરાઠી-હિન્દુ" ફોર્મ્યુલામાં ફિટ બેસે છે.
- પ્રકાશ દરેકર
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરના ભાઈ પ્રકાશે વોર્ડ નં. 3 માંથી વિજય મેળવ્યો છે. દરેકર પરિવારનો મુંબઈમાં ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં મરાઠી વોટ બેંક પર જોરદાર પ્રભાવ છે. તેમની પાસે વહીવટી અનુભવ પણ છે જેના લીધે તેઓ મેયર પદ માટે મજબૂત દાવેદાર છે.
- પ્રભાકર શિંદે
બીએમસીમાં ભાજપના જૂથના ભૂતપૂર્વ નેતા પ્રભાકર શિંદે,પાર્ટીના સૌથી અનુભવી કાઉન્સિલરોમાંના એક છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી અને નિયમોની સમજ છે. એક "મરાઠી ચહેરો" અને અનુભવ ધરાવતા હોવાથી તેઓ મેયર બની શકે છે.
- મકરંદ નાર્વેકર
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ મકરંદ નાર્વેકર દક્ષિણ મુંબઈમાં એક મોટું નામ છે. તેઓ અનેક વખત જીત્યા છે અને કોલાબા વિસ્તારમાં તેમનો મજબૂત પ્રભાવ છે. તેઓ મરાઠી સમુદાયમાંથી આવે છે. તેઓ આધુનિક અને પ્રગતિશીલ નેતા તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે, આથી તે પણ રેસમાં છે.

- રાજશ્રી શિરવાડકર
વોર્ડ નંબર 172 માંથી જીતેલી રાજશ્રી શિરવાડકર ભાજપની એક વફાદાર અને આક્રમક મરાઠી મહિલા ચહેરો છે. જો પાર્ટી કોઈ મહિલાને મેયર બનાવે તો રાજશ્રીનું નામ સૌથી આગળ રહેશે.
- ભાજપની ઐતિહાસિક જીત
2026ની બીએમસી ચૂંટણીમાં ભાજપે શિવસેનાના દાયકાઓ જૂના વર્ચસ્વને તોડીને સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યુ છે. વિકાસના અને હિન્દુત્વના મિશ્રણથી ભાજપે બીએમસી કબ્જે કરી છે. આ જીત દર્શાવે છે કે મુંબઈના લોકોને હવે ડબલ-એન્જિન સરકારમાં વિશ્વાસ છે.
- ફડણવીસનું 'હિન્દુ-મરાઠી' કાર્ડ
મેયરપદની પસંદગી અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મેયર એક હિન્દૂ અને મરાઠી બનશે. તેમને એમ પણ કહ્યું કે જો ચેન્નાઈ, હૈદરાબાદ અને અમદાવાદ જેવા કોસ્મોપોલિટન શહેરોમાં સ્થાનિક ઓળખ ધરાવતા મેયર હોઈ શકે છે તો મુંબઈમાં કેમ નહીં?
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ