નવું ઘર બનાવવાના કેટલાક મહિનાની અંદર દીવાલમાં તિરાડ પડી જાય તેવી સમસ્યા જોવા મળતી હોય છે. એક બાજુ તે તિરાડ રિપેર કરાવો ત્યાં બીજી બાજુ દેખાવા લાગે છે. લોકો ઘણીવાર આવી પરેશાનીથી મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ આ સમસ્યાનું સમાધાન સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે.
ઘરની દીવાલમાં પડતી તિરાડનું કાયમી સમાધાન
ઇમારતને 200 વર્ષ સુધી તિરાડથી મુક્ત રાખી શકાશે
સિમેન્ટમાં મિક્સ કરેલા બેક્ટેરિયા દીવાલ રિપેર કરી દેશે
કોલકાતામાં તાજેતરમાં સંપન્ન ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવમાં રૂરકીની સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે કોઇ પણ ઇમારતને 200 વર્ષ સુધી તિરાડથી મુક્ત રાખવાનો ઉપાય મળી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે જો કેલ્શિયમ ઉત્પન્ન કરનાર એક પ્રકારના બેક્ટેરિયાને સિમેન્ટમાં મિક્સ કરાય તો દીવાલની તિરાડ જાતે જ ઠીક થઇ જશે. સેલ્ફ ફિલિંગ ટાયર જેવી રીતે લીક થતાં જાતે રિપેર થઇ જાય છે તે જ રીતે જ્યારે પણ દીવાલમાં કોઇ તિરાડ હોય તો સિમેન્ટમાં મિક્સ કરેલા બેક્ટેરિયા જાતે જ તેને રિપેર કરી શકે છે.
સિમેન્ટમાં બેક્ટેરિયા મિક્સ કરીને ઉપયોગમાં લેવાશે
વિજ્ઞાન મહોત્સવમાં આવેલા સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડનાર નિર્માણ સામગ્રી બનાવવી અમારા સંશોધનનો વિષય છે. ઘરના નિર્માણ બાદ દીવાલમાં તિરાડ પડવી દેશભરમાં સામાન્ય બાબત છે. તેમણે જણાવ્યું કે અમે સિમેન્ટમાં એવા બેક્ટેરિયા મિક્સ કર્યા છે, જે કેલ્શિયમ બનાવે છે. કેલ્શિયમ બનાવવા માટે આ બેક્ટેરિયા સરળતાથી ઉપલબ્ધ છે. હજુ સુધી તેમણે તમામ પરીક્ષણને પૂર્ણ કર્યાં નથી. ઓછા સમયમાં તિરાડ ઠીક કરવા માટે અહીં સંશોધન ચાલી રહ્યું છે.
સંશોધકોનું કહેવું છે કે એવા જીવાણુઓનો જીવનકાળ કમસે કમ 200 વર્ષ હોય છે. તેથી જો ભવનના નિર્માણ સમયે સિમેન્ટ સાથે તેમને મિક્સ કરવામાં આવે તો 200 વર્ષ સુધી ઘર તિરાડથી મુક્ત રહી શકશે.