નવા શૈક્ષણિક વર્ષ જૂન-ર૦૧૯ના ૧૦ જૂનથી શરૂ થતી શાળાઓ પહેલાં વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર પડી છે. ઘણી શાળાઓએ ફીમાં બેફામ વધારો કર્યો છે તો બીજી તરફ ધોરણ–૧૦ અને ૧રના વિજ્ઞાનપ્રવાહનાં પુસ્તકોમાં ૩૦૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે, જ્યારે ધોરણ-૧ થી ૧રનાં પાઠ્યપુસ્તકોમાં પણ ૮૦ થી ૧૦૦ ટકા સુધીનો બેફામ વધારો કરી દેવામાં આવતાં વાલીઓ પર વધુ એક બોજ આવ્યો છે.
ધોરણ-૧ર સાયન્સ અંગ્રેજી માધ્યમનાં પુસ્તકોના ભાવ ૮૦ ટકા સુધી વધ્યા છે, જ્યારે ધોરણ-૧૦ના ગુજરાતી–અંગ્રેજી માધ્યમનાં ગણિત–વિજ્ઞાનના પુસ્તકોનો ભાવ ૫૦ ટકા વધ્યો છે. હજુ તો આ પુસ્તકો બજારમાં પહોંચ્યાં નથી. નવાં પુસ્તકો જે આવ્યાં છે તેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનના કુલ મળી ભાવ રૂ.૯૩૭ થયા છે.
જ્યારે ધોરણ-૯નાં નવાં પુસ્તકો આવ્યાં છે તેમની કિંમત પણ વધારે છે, જેમાં હાલ ચાલતાં પાઠ્યપુસ્તકોની કિંમત રૂ.૧૧ર છે તેની નવા પુસ્તકની કિંમત રૂ.ર૭૬ કરાઈ છે, જ્યારે વાણિજ્યનાં મૂળ તત્ત્વોની કિંમત અત્યારે ચાલતા પુસ્તકની કિંમત રૂ.પ૩ છે તેની કિંમત વધારીને રૂ.૧૪૩ ચૂકવવી પડશે. ધોરણ-૯માં જ વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેકિટસ નવા પાઠ્યપુસ્તકની કિંમત હાલ રૂ.૭૬ છે તે વધારીને ૧પ૩ કરાઈ છે.
આમ, આ ત્રણ વિષયનાં પુસ્તકો જૂના ભાવે ખરીદો તો રૂ.ર૪૧ થતાં હવે નવાં પુસ્તકો માટે રૂ.પ૭ર ચૂકવવા પડશે. આમ, ધોરણ-૧થી ૧ર સુધીમાં સરેરાશ ૮૦ ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ૧રનાં પાઠ્યપુસ્તકોના ભાવ વધવાની સાથે જ ખાનગી પ્રકાશનોએ પણ ધોરણ-૧થી ૯નાં પુસ્તકોના ભાવ વધારી દીધા છે.
આ અંગે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક સત્ર જૂન-ર૦૧૯થી એનસીઈઆરટીનાં ભાષાનુવાદ કરાયેલાં પુસ્તકો તૈયાર કરાયાં છે. તેથી આ નવાં પુસ્તકોની કિંમત વધારે છે, જેથી નિયત ધારાધોરણ મુજબ પુસ્તકોની કિંમત નક્કી કરાઈ છે.