બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કરોડોના બંગલા, પરંતુ ચાલવા માટે યોગ્ય રસ્તો નહીં, શાલીગ્રામ વિલાના રહીશો ત્રાહિમામ પોકાર્યા
Last Updated: 05:28 PM, 26 July 2026
અમદાવાદ: શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રાથમિક સુવિધાઓ અંગેના દાવાઓ પર સવાલો ઊભા થયા છે. સરદારનગર વોર્ડમાં આવેલી શાલીગ્રામ વિલાના રહીશો રસ્તાના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દોઢથી બે કરોડ રૂપિયાના બંગલાઓમાં રહેતા લોકો પણ વરસાદ બાદ કાદવ અને કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીની બહાર યોગ્ય રસ્તો ન હોવાથી રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ જતાં વાહનો ચલાવવા તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
રહીશોના આક્ષેપ છે કે ડ્રેનેજ પાઇપલાઇન નાંખવા માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નહોતું. પરિણામે વરસાદ પડતાં સમગ્ર માર્ગ કાદવમાં ફેરવાઈ ગયો છે અને લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
ADVERTISEMENT
શાલીગ્રામના રહેવાસી જસવંત સિંહે AMCના નમાલાપણાં પર રોષ ઠાલવતાં કહ્યું કે, "કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ 4-4 દિવસથી ફરિયાદો કરી હોવા છતાં કંઈ કામ કર્યું નથી." વધુમાં તેમણે કહ્યું, "અમે લોકો મ્યુનિસિપાલ કોર્પોરેશનનો દરેક પ્રકારનો ટેક્સ સમયસર ભરીએ છીએ અને સરકારના તમામ નિર્દેશોને અમે સપોર્ટ આપીએ છતાં અમારા ઘરની સામે જુઓ કેવો રસ્તો છે."
સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા અંગે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી રસ્તાના નિર્માણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વરસાદી સિઝનમાં રહીશોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાનું નિર્માણ પૂર્ણ કરવાની માંગ કરી છે, જેથી લોકોને કાદવ-કીચડમાંથી પસાર થવાની ફરજ ન પડે અને રોજિંદી અવરજવર સરળ બની શકે. ભારે વરસાદ બાદ સામે આવેલી આ સ્થિતિએ શહેરમાં વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ અંગેના દાવાઓ પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.