જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાની સાથે જ દેશભરમાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌ કોઈ કાશ્મીરમાં જમીન અને પ્રોપર્ટી ખરીદવાના સપના જોઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં રહેતી મૂળ જમ્મુ-કાશ્મીરની એક યુવતીની ખુશી બેવડાઈ ગઈ છે કેમ કે જમ્મુ-કાશ્મીરમાં આ યુવતી પાસે પોતાની માલિકીની ઘણી જમીન છે અને સરકારે હવે કાયદો હટાવીને જમીન વેચાણ માટે માર્ગ મોકળો કરી આપ્યો છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
કાશ્મીરની (jammu & kashmir) કોઈ પણ તસવીર પર જો નજર કરીએ તો આંખ સામે જન્નત ખડું થઈ જાય છે. કેમ કે કુદરતે કાશ્મીરમાં ખૂબસૂરતી છૂટા હાથે વેરી છે. ત્યારે હવે મોદી-શાહની કલમ-370 નાબૂદીના માસ્ટર સ્ટ્રોક બાદ દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કલમ 370 રદ કરતાની સાથે જ વિકાસની વાતો શરૂ થઈ ગઈ છે. દરેક જગ્યાએ એક જ વાત સાંભળવા મળે છે કે હવે કાશ્મીરમાં જમીન ખરીદી શકાશે. ત્યારે સુરતમાં રહેતી મૂળ કાશ્મીરી યુવતી મૃદુલ શર્માની ખુશીનું કારણ પણ કાશ્મીર સાથે જોડાયું છે.
મૃદુલ શર્મા (Mridula Sharma) હાલ સુરતના અડાજણ-પાલ રોડ પર રહે છે, મૃદુલ થોડા વર્ષો પહેલા જ લગ્ન કરીને સુરત સ્થાયી થઈ છે. રાજસ્થાનમાં પત્રકારત્વના અભ્યાસ કર્યા બાદ તેણે રોનક વર્મા સાથે લગ્ન કર્યા હતાં. મૃદુલ વર્મા સુરતમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. મૃદુલના માતા-પિતા અને ભાઈ હજુ પણ કાશ્મીરમાં રહે છે. કાશ્મીરના ઉધમપુરમાં તેનો પરિવાર રહે છે. મૃદુલના દાદાએ કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી હતી. એ જમીન ઉપયોગ વગર એમ જ પડી રહી હતી.
અત્યાર સુધી કાયદાની મર્યાદાના કારણે તેઓ બહારની કોઈ વ્યક્તિને જમીન વેચી શકતા ન હતા. કાયદાના કારણે જમીનના ખાસ ભાવ ન હતા. પરંતુ મોદી સરકારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ સોશિયલ મીડિયામાં કાશ્મીરમાં જમીન ખરીદવાના મેસેજ પણ ફરતા થયાં છે. મૃદુલે આ વાતને ગંભીરતાથી લીધી છે અને કાશ્મીરમાં રહેતા તેના માતા-પિતા સાથે વાત કરી છે. મૃદુલે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં બાદ પોતાની ત્યાં રહેલી જમીન વેચવાની ઈચ્છા દર્શાવી છે.
કાશ્મીરમાં પંચેરી એક હિલ સ્ટેશન વિસ્તાર છે. અહીં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખૂબ બરફ વર્ષા થાય છે અને બાકીના 10 મહિના અહીં આહલાદક વાતાવરણ રહે છે. મૃદુલ કાશ્મીરનાં ઉધમપુરના પંચેરીમાં જમીન ધરાવે છે. જમ્મુ-કાશ્મીરમાં જમીનની માપણી મરલ્લામાં થાય છે. 1 મરલ્લા એટલે 270 સ્કવેર ફૂટ અને 1 મરલ્લાની કિંમત અંદાજે 4થી 5 લાખ થાય છે. પણ હવે આ કિંમતમાં ઉછાળો આવ્યો છે. મૃદુલના પરિવાર પાસે કુલ 100 મરલ્લા જેટલી જમીન છે.
મૃદુલના પરિવારની માલિકીની જમીન જમ્મુથી 90 કિમી દૂર અને ઉધમપુરથી 40 કિમી દૂર છે. આ વિસ્તારની વિશેષતા એ છે કે, અહીં આર્મીનો બેઝકેમ્પ આવેલો છે. તેથી અહીં સુરક્ષા પણ સારી છે. પંચેરીના પહાડી વિસ્તારમાં બદામ અને ચેરી પણ મોટા પ્રમાણ થાય છે. કાશ્મીર એ પૃથ્વીનું સ્વર્ગ મનાય છે. તેવામાં લોકો ચંદ્ર પર જમીન ખરીદીને રહેવા તો જઈ નથી શકતા. પણ કલમ 370 નાબૂદ થયા બાદ લોકોનું સ્વર્ગમાં જમીન ખરીદવાનું સપનું જરૂરથી આવનારા દિવસોમાં સાકાર થશે.