સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. જેના કારણે છેલ્લા 10 મહિનામાં 13 હજાર અને 2 મહિનામાં 4 હજાર રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેમાં સુરતદની મુખ્ય મોટી કંપનીઓએ પણ કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે.
દિવાળી પછીથી હીરા ઉદ્યોગમાં મંદીનો માર ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે એક ડેલિગેશન દિલ્લીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યું છે. જેમાં હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે પગલાં ભરવાની રજૂઆત કરવા પહોંચ્યું છે. અત્યાર સુધી સુરતમાં બ્લૂ સ્ટાર ડાયમંડ કંપનીએ 200 કારીગરોને છૂટા કર્યા છે.
તો કિરણ જેમ્સમાંથી 250 રત્નકલાકારોની છટણી કરાવી છે. જ્યારે ગિરધરલાલમાંથી 100 કારીગરોને છૂટા કરાયા છે. તો ગોધાણી ઈમ્પેક્ષમાંથી 200 કારીગરોને છટણી કરાઈ છે. એસ. જોગાણીમાંથી 100 કારીગર, એચ. વિનોદકુમારમાંથી 200 કારીગર અને જ્વેલ સ્ટારમાંથી 50 તેમજ કે.જી.કેમાંથી 60 કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે.
રત્નકલાકારોની ચિમકી
ગઇકાલે છૂટા ગોધાણી ઈમ્પેક્ષમાંથી છુટા કરી દેવાયેલા અને અન્ય રત્નકલાકારો કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા સ્પોર્ટ ગ્રાઉન્ડ પાસે એકઠા થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમને અમારો હક અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કલેકટર ઓફિસ પર ધરણાં કરીશું.
રત્નકલાકારોએ જણાવ્યું હતુ કે, અમે ગત શુક્રવારે સવારે કારખાને રોજની જેમ ગયા ત્યારે શેઠે અચાનક જ કારખાનું બંધ કરી દેવાનું હોવાથી કારીગરોને રજા આપી દીધી હતી. ઓચિંતી ના પાડી દેતા અમારા માટે ગંભીર પ્રશ્ન સર્જાયો છે. અમને બીજે કામ પર લગાવી દેવાનું કહ્યું હતું. જોકે, અમે જાણીએ છીએ કે આ સમયમાં કોઈને ત્યાં જગ્યા નથી. બધા પોતાના કારીગરોને સાચવવા મથે છે. અમને મહિના અગાઉ કહ્યું હોત અથવા દિવાળી સુધી કંપની ચાલુ રાખી હોત તો અમારે હેરાન ન થવું પડ્યું હોત. અમારી માંગ છે કે અમને વળતર ચુકવવામાં આવે.