વિધાનસભામાં વિપક્ષ નેતાની નિમણુકને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ટૂંક સમયમાં નેતાની વરણી કરવામાં આવે તેવું જણાવાયું છે.
ચૂંટાયેલા કોર્પોરેટર્સે પક્ષ વિરોધી કામ કર્યું:શૈલેષ પરમારનો મોટો આક્ષેપ
કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિપક્ષ નેતાની નિમણૂકને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે વિપક્ષ નેતાના પદ પર તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. વધુમાં ખેડાવાલાએ જણાવ્યું કે વિધાનસભામાં માત્ર 17 જ સભ્યો હોવા છતાં પસંદગીમાં વિલંબ થાય છે. જેથી હાઇકમાન્ડે તાત્કાલિક વિપક્ષ નેતા જાહેર કરવા જોઈએ. તેમણે કોંગ્રેસની સત્ય શોધક કમિટી સમક્ષ વિપક્ષ નેતા ઝડપથી બનાવવા
રજૂઆત કરી છે.
વિધાનસભામાં માત્ર 17 સભ્યો હોવા છતાં પસંદગીમાં વિલંબ
વધુમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીને પણ મળ્યા હતા જ્યા વન ટુ વન બેઠકમાં તેઓએ તારણો રજૂ કર્યા હતા. ઈમરાન ખેડાવાલાએ ઉમેર્યું કે આગામી 2થી 3 દિવસમાં વિપક્ષ નેતાની નિમણૂક કરવામાં આવશે. વધુમાં ટકોર કરતા એમ પણ જણાવ્યું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી જોઈએ અને આ માટે કોંગ્રેસના દરેક નેતાઓએ મહેનત કરવાની જરૂર છે. તેમ અંતમાં ખેડાવાલાએ ઉમેર્યું હતું.
ધારાસભ્ય શૈલેષ પરમારનો મોટો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસનું ધોવાણ થતા કારણો જાણવા માટે કોંગ્રેસે સત્ય શોધક કમિટીની રચના કરી છે. જે કમિટીના સભ્યો હાલ ગુજરાતમાં છે. કમિટીના ચેરમેન નિતીન રાઉત સહિત 2 સભ્યો ગુજરાતના પ્રવાસે છે.આ દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમારએ આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટાયેલા કોર્પોરેટર અને હોદ્દેદારોએ પાર્ટી વિરુદ્ધની કામગીરી કરી છે. જે તમામને સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠાવી છે અને જો આવા લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હજુ પણ ભવિષ્યમાં વધુ નુકસાન થઈ શકે છે.વધુમા તેમણે એમ પણ કહ્યું કે કમિટી સમક્ષ પાર્ટી વિરુદ્ધ કામગીરીના ચિઠ્ઠા ખોલીશ.
થોડા જ દિવસોમાં પાર્ટી વિપક્ષ નેતાનું નામ નક્કી કરશે
તો બીજી તરફ વિપક્ષ નેતાની પસંદગી પર શૈલેષ પરમારએ કહ્યું હતું કે વિધાનસભાના પહેલા સત્રથી ૩૦ દિવસમાં પંસદગી કરવી ફરજિયાત છે. પહેલા સત્રના 30 દિવસમાં અધિકૃત વ્યક્તિનું નામ આપવાનો નિયમ છે. 20 ડિસેમ્બરના રોજ વિધાનસભા સત્ર મળ્યું હોવાથી હવે થોડા જ દિવસોમાં પાર્ટી વિપક્ષ નેતાનું નામ નક્કી કરશે તેમ ઉમેર્યું હતું.