'માહિતી અધિકાર ગુજરાત પહેલ' નામની સંસ્થાએ દાવો કર્યો છે કે રાજ્યના માહિતી કમિશનરે અરજદારની RTI અરજી ફગાવીને તેની પર 5 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડી પી ઠાકરે તારીખ 5 જાન્યુઆરીએ ફરિયાદી ચિંતનભાઈ, ભારતીબેન અને દિલહરિબેને સામે હુકમ કર્યો હતો કે 5 વર્ષ માટે આ ત્રણેય અરજદરની અરજીઓ કે અપીલો ન સ્વીકારવામાં આવે અને તેમની અવગણના કરવામાં આવે.
આ માટે તેમણે કારણ આપતા જણાવ્યું હતું કે આ ત્રણ અરજદારો વારંવાર માહિતી માંગી રહ્યા છે અને તંત્ર ઉપર દબાણ મૂકીને માહિતી અધિકારનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે આ હુકમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસર, CDHO ભાવનગર અને વિભાગીય નાયબ નિયામક તબીબ સેવા ભાવનગરને આપ્યો હતો.
આ સામે 'માહિતી અધિકાર ગુજરાત પહેલ'એ દલીલ કરી હતી કે માહિતી અધિકાર કાયદામાં માહિતી કમિશનરને દંડ કરવાની જોગવાઈ છે, માહિતી પુરી પાડવાનો હુકમ કરવાની જોગવાઈ છે પણ અરજદારને માહિતી ન આપવાનો હુકમ કરવાની કોઈ જોગવાઈ નથી. આ હુકમ માહિતી અધિનિયનું ઉલ્લંઘન છે.
તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે આ પ્રકારની સત્તા ન હોવા છતાં માહિતી કમિશનર કાયદાથી ઉપરવટ જઈને કાયદાના ઉદ્દેશ્ય અને ન્યાયાલયના ચુકાદાઓનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને માહિતી મેળવવા ઇચ્છતા અરજદારોની અરજીઓ અને અપીલોને નકારી રહ્યા છે.
તેમણે વધુમાં આરોપ લાગાવ્યો હતો કે તેમને જાણવા મળ્યું છે કે થોડા સમયથી રાજ્યમાં માહિતી મેળવવા ઇચ્છતા અરજદારોને માહિતી આયોગ તરફથી પ્રતિબંધિત કરી દેવાની ધમકી સાંભળવા મળી રહી છે. અરજદારોની અરજી કે અપીલ રોકવાની માહિતી અધિકાર અધિનિયમ 2005માં કોઈ જોગવાઈ નથી. આમ એવો હુકમ કરતા માહિતી કમિશનરના ચુકાદાને તાત્કાલિક પાછો ખેંચવાની અને કમિશનરને આ મુદ્દે કાયદાકીય અર્થઘટન સ્પષ્ટ કરવાની માંગ ઉઠી છે.