સિંગાપોરમાં હવે હાથીદાંત અને તેમાંથી બનેલી ચીજ-વસ્તુઓની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિંગાપોર તરફથી આજે અધિકૃત રીતે જણાવવામાં આવ્યું હતું કે, હાથીદાંત અને તેમાંથી બનેલી દરેક ચીજ-વસ્તુઓના ઘરઆંગણે થતા વેચાણ પર વર્ષ 2021થી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
સરકાર ગેરકાયદે વન્યજીવ વેપાર વિરુદ્ધ પોતાના અભિયાનને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સિંગાપોરના નેશનલ પાર્કસ બોર્ડે 1 સપ્ટેમ્બર, 2021થી હાથીદાંત અને હાથીદાંતમાંથી બનેલા તમામ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. જે વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે તેને એક વર્ષ સુધી જેલની સજાનો સામનો કરવો પડશે. જેલની સજા ઉપરાંત મોટા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
બોર્ડે જણાવ્યું કે, વેપારીઓ પ્રતિબંધ શરૂ થાય તે પહેલાં તેમની પાસે રહેલો આઈવરી સ્ટૉક (હાથીના દાંત)ને જે-તે સંસ્થાનોને દાન કરી શકે છે. આજે દુનિયાભરમાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી થઈ રહી છે ત્યારે આ જાહેરાતથી હાથી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. સિંગાપોરમાં ગેરસરકારી જૂથો, હાથીદાંતના વિક્રેતાઓ અને જનતા સાથે સતત બે વર્ષ સુધી વિચાર-વિમર્શ કર્યા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ ગયા મહિને તસ્કરી કરવામાં આવેલા હાથીદાંતની અત્યાર સુધીની સૌથી મોટી જથ્થોને જપ્ત કર્યો હતો. એક અંદાજ પ્રમાણે, આફ્રિકન હાથીઓના લગભગ 9 ટન કન્ટ્રાબંડ ટસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા, જેની બજારકિંમત 12.9 મિલિયન ડૉલર થાય છે. ગેરકાયદે કાર્ગોને કાંગો રિપબ્લિકના એક કન્ટેનરમાં સિંગાપોર થઈને વિયેટનામ મોકલવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સિંગાપોરમાં વર્ષ 1990થી હાથીના હાથીદાંત અને તેના તમામ ઉત્પાદનો પર તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારની વસ્તુઓને ઘરઆંગણે વેચવાની છૂટ હતી, પણ તેમાં વેપારીઓ ફક્ત એટલું સાબિત કરવાનું રહેતું કે, તેમણે આ માલ એ વર્ષ કરતા પહેલા આયાત કર્યો હતો, જ્યારે લુપ્તપ્રાય પ્રજાતિઓની સુરક્ષા કરનારા એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાથી પ્રજાતિઓને સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
હાથીદાંતની તસ્કરી કરીને તેમાંથી કાંસકો, પેન્ડેટ અને અન્ય આભૂષણ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને આફ્રિકાના જંગલોમાં મોટી રકમની લાલચમાં હાથીઓનો હાથીદાંત માટે જ શિકાર કરવામાં આવતો હતો.