પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર ટીમ ઈન્ડિયા અને ભારતીય ક્રિકેટરો અંગેના પોતાના મત ખુલીને આપવા માટે જાણીતા છે.
ટ્વિટર પર અખ્તરે #AskAkhtar સેશન દરમિયાન ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા. આ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાના કેટલાક દિગ્ગજ ક્રિકેટરો વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જ્યારે એક પાકિસ્તાની ચાહકે અખ્તરને ધોની વિશે પૂછ્યું, ત્યારે અખ્તરે તેના જવાબથી તમામ ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું.
M S ધોની એક આખા યુગનું નામ છે
એક પાકિસ્તાની ક્રિકેટ ફેને અખ્તરને ટેગ કરીને પૂછ્યું કે, "તમે M S ધોની વિશે શું કહેશો?" આ માટે અખ્તરે જવાબમાં લખ્યું, "આ એક આખા યુગનું નામ છે."
15 ઓગસ્ટ 2020 ના રોજ ધોનીએ નિવૃત્તિ લીધી
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેનોમાં સામેલ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટન ગણવામાં આવે છે. ધોની 2004 થી 2019 વચ્ચે ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. 15 ઓગસ્ટ 2020 ના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
ICCની ત્રણ ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન
ધોની વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે, જેની કપ્તાની હેઠળ ટીમે ICCની ત્રણ ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007નો T 20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં પણ નંબર 1 ટીમ બની ગઈ છે. ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં રમી હતી, જે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ હતી.
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફીનીશર્સમાંથી એક માનવામાં આવે છે
ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફીનીશર્સમાંથી એક માનવામાં આવે છે. તેણે વન ડેમાં 50.56ની સરેરાશથી 10,773 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 4876 ટેસ્ટ રન અને 1617 T 20 ઇન્ટરનેશનલ રન બનાવ્યા છે. ધોનીએ 108 અડધી સદી સિવાય કુલ 16 આંતરરાષ્ટ્રીય સદીઓ ફટકારી છે.