અખંડ ભારતના શિલ્પી અને દેશના અનેક રજવાડાઓને એક તાંતણે બાંધનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે જન્મ જયંતિ છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલનો માદરે વતન નડિયાદ સાથે અનોખો નાતો રહેલો છે. અનેક યાદો સરદારની નડિયાદ સાથે જોડાયેલી છે. ત્યારે આવો નડિયાદ સાથેની તેમની યાદોને વાગોળિયે...
ખેડા સત્યાગ્રહની ગાંધીજીએ જાહેરાત કરી
સરદાર પટેલને હિન્દુ અનાથ આશ્રમ સાથે અનોખો નાતો હતો
સરદાર પટેલના આહવાન પર લોકોએ કર ભરવાનું બંધ કર્યું
અખંડ ભારતનું ઘરેણુ અને ગુજરાતનું ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે જન્મજયંતિ છે. આજ દિવસે એટલે કે 31 ઓક્ટોબર 2018ના દિવસે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વખતે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ નડિયાદની.
નડિયાદ એટલે સરદાર વલ્લભાઇ પટેલનું મોસાળ, અને માદરે વતન. નડીયાદના દેસાઇ વગામાં વલ્લભભાઇ નો જન્મ થયો હતો. નડિયાદમાં જ સરદારે પટેલે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. સરદાર એક કદાવર નેતા, સફળ રણનીતિકાર અને આઝાદીના લડવૈયાના ગુણો તેમને નડિયાદમાંથી જ જન્મ્યા હતા.
ખેડા સત્યાગ્રહની ગાંધીજીએ જાહેરાત કરી
એક સમયે ખેડા જિલ્લામાં ભયંકર દુષ્કાળ અને પ્લેગના રોગને લઈ ખેડૂતો બેહાલ બન્યા હતા. તો પડતા પર પાટુ મારતા અંગ્રેજ સરકારે કર લાગુ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. આ સમયે ખેડૂતોના કર માફ કરવા માટે ગાંધીજી ચંપારણમાં ખેડૂતો માટે લડતા ચલાવી રહ્યા હતા. ત્યારે ખેડા સત્યાગ્રહની ગાંધીજીએ જાહેરાત કરી.
સરદારે પોતે શૂટ બૂટનો ત્યાગ કરી દીધો
આ સત્યાગ્રહની આગેવાની લેવા માટે કોઈ ગુજરાતી નેતાને મહાત્મા ગાંધીએ આહવાન કર્યું ત્યારે અમદાવાદમાં વકીલાત કરતાં અને તે સમયે અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા વલ્લભભાઈ પટેલે આ જવાબદારી સ્વીકારી. અને મહાત્મા ગાંધી સાથે 16 ફેબ્રુઆરીના રોજ જોડાઈ ગયા. અને ગાંધીજીની સાદગી જોઈને મોહી ગયેલા સરદારે પોતે શૂટ બૂટનો ત્યાગ કરી દીધો, અને ધોતી અપનાવી લીધી.
બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યુ
ખેડા સત્યાગ્રહની જવાબદારી સ્વીકાર્યા બાદ નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી જેવા કોંગ્રેસી સ્વયંસેવકોના સહયોગ સાથે વલ્લભભાઈએ ખેડા જિલ્લાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથા તકલીફોની નોંધ કરી તેમને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. તેમણે મુશ્કેલીઓ વચ્ચે પુર્ણ એકતા તથા ઉશ્કેરણી સામે અહિંસા આચરવાને મહત્વ આપ્યું.
સરદાર પટેલના આહવાન પર લોકોએ કર ભરવાનું બંધ કર્યું
સરદારને આ કામને લઈ ગામે ગામથી સારો આવકાર મળ્યો. તો જ્યારે સરદાર પટેલના આહવાન પર લોકોએ કર ભરવાનું બંધ કર્યું ત્યારે અંગ્રેજ સરકારે મિલ્કત, તબેલાના પશુઓ તેમજ આખે આખાં ખેતરો જપ્ત કરવા પોલીસ તથા ઘમકી આપવાવાળી પઠાણોની ટુકડીઓ મોકલી.
હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી
બીજી તરફ વલ્લભભાઈએ પ્રત્યેક ગામના રહેવાસીઓને તેમની મુલ્યવાન વસ્તુઓ છુપાવવા તથા પોલીસ સામે સ્વરક્ષણમાં મદદ કરી શકે તેવા સ્વયંસેવકોની એક ટોળકી બનાવી હતી. હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી, આ આંદોલન ઉગ્ર બની ગયું હતું અને સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા. સમગ્ર દેશમાંથી બળવાને સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા લાગી, અને પ્રશંસકોમાં અંગ્રેજોને ખુશામત કરતા લોકો પણ સામેલ હતા.
આખરે બ્રિટિશ સરકારે ઝૂકવુ પડ્યું
આખરે બ્રિટિશ સરકારે ઝૂકવુ પડ્યું હતું. સરદાર સામે સમજૂતી કરવી પડી હતી. આ એક એવું આંદોલન હતું કે ગાંધીજીના માર્ગદર્શન વીના સફળ થયું હતું...આ જ ઘટનાથી સરદાર પટેલ એક નાયક તરીકે ઉભરી આવ્યા અને ગાંધીએ સરદારને વીર વલ્લભનું બિરુદ આપ્યું હતું.
સરદાર પટેલને હિન્દુ અનાથ આશ્રમ સાથે અનોખો નાતો હતો
હિન્દુ અનાથ આશ્રમમાં અનેકો વખત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ મળતા હતા. સરદાર પટેલને હિન્દુ અનાથ આશ્રમ સાથે અનોખો નાતો હતો. આ આશ્રમ સાથે પટેલના પરિવારનું પણ મોટું યોગદાન હતું. પ્લેગ અને દુષ્કાળ દરમિયાન 1907-1908માં મિસનરીઓ દ્વારા હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવવા માટે લાલચ લોભ આપવામાં આવતો હતો.
તમામ યુવાનોને ઘર વાપસી કરાવી
નડીયાદના 10 બાળકો ને ક્રિશ્ચિયન ધર્મમાં લઈ જતાં સરદારના પટેલના મોટાભાઇ વિઠ્ઠલભાઈએ આ યુવાનોને બચાવવા માટે વિના વળતરે કોર્ટમાં કેસ લડ્યા અને જીત પણ મેળવી, અને તમામ યુવાનોને ઘર વાપસી કરાવી. બસ આ જ ઘટના બાદ વર્ષ 1908માં હિન્દુ અનાથ આશ્રમની સ્થાપના કરવામાં આપી. આ સંસ્થામાં લાલા લચપતરાયે 2500 રૂપિયાનું દાન કર્યું...આ જ આશ્રમ સાથે સરદાર પટેલના અનેક પ્રસંગો જોડાયેલા છે.
અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ એવા નેતા હતા કે જેમણે ક્યારેય પદનો મોહ રાખ્યો ન હતો. એ ઈચ્છતા તો દેશના પ્રધાનમંત્રી પણ બની શક્તા હતા. પરંતુ તેમને મન તો માત્રને માત્ર દેશ હિત હતું. સરદાર પટેલ એવા નેતા હતા કે તેઓ દેશના જ નહીં પણ વૈશ્વિક નેતા હતા.