આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે જેમાં મોંઘવારી ભથ્થાં સંબંધિત નિર્ણય લેવાઈ શકે છે.
આવતીકાલે મોદી કેબિનેટની બેઠક
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે
38 ટકાથી વધારીને 42 ટકા થઈ શકે ડીએ
મોદી સરકારે ખેડૂતોને હોળીની ભેટ આપી દીધી છે અને હવે સરકારી કર્મચારીઓ અને પેન્શર્સનો વારો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે 1 માર્ચ 2023ના રોજ મળનારી કેબિનેટની બેઠકમાં એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
38 ટકાથી વધીને 42 ટકા થઈ શકે મોંઘવારી ભથ્થું
હાલ કેન્દ્ર સરકાર તરફથી 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જેને વધારીને 42 ટકા કરી શકાય છે. એટલે કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીએ)ની સમીક્ષા કરે છે અને તેમાં વધારો કરે છે. ગત વખતે 28 સપ્ટેમ્બર 2022ના રોજ મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2022થી 28 ફેબ્રુઆરી 2023 સુધી 8 મહિના માટે 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
કેવી રીતે ગણતરી થાય છે મોંઘવારી ભથ્થાંની
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવાંક (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે કરવામાં આવે છે.
ઓલ ઈન્ડિયા ફેડરેશનના જનરલ સેક્રેટરી શું બોલ્યાં
ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું હતું કે, "ડિસેમ્બર, 2022 માટે સીપીઆઈ-આઈડબ્લ્યુ 31 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થવા જાય છે પરંતુ સરકાર ડીએમાં દશાંશ લેતી નથી. આવી સ્થિતિમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકાય છે. ગત વખતે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં ફેબ્રુઆરી 2023 સુધી વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષના બે મહિના વીતી ગયા છે, પરંતુ સરકારે મોંઘવારી ભથ્થું માર્ચથી જૂન સુધી વધારવા અંગે નિર્ણય લેવાનો છે. જેના પર બુધવારે નિર્ણય લેવામાં આવી શકે છે.