સાબરમતી સેન્ટ્રલ જેલના સિનિયર જેલરે કહ્યું કે 2008ના બ્લાસ્ટના આરોપીઓ ચાર્જશીટની ફાઈલના પોટલાને ડમ્બેલ તરીકે ઉપયોગ કરે છે.
અમદાવાદમાં ૨૦૦૮માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરાવવા બદલના આરોપીઓએ જેલને જીમમાં ફેરવી નાખી હતી. તેમણે કોર્ટ તરફથી મળેલી ચાર્જશીટની ફાઈલો ભેગી કરીને તેને ડમ્બેલ બનાવીને વર્કઆઉટ કરવાનું શરુ કરી દીધું હતું. આ મુદ્દે જેલરે ગયા અઠવાડિયે સ્પેશ્યલ કોર્ટને આ વાતનો ખુલાસો કર્યો હતો.
સાબરમતી સેન્ટ્રલ જેલના વરિષ્ઠ જેલર દિનુ પ્રજાપતિએ કોર્ટને જણાવ્યું હતું કે ૨૦૦૮ના બ્લાસ્ટના આરોપીએ ચાર્જશીટની ફાઈલોના ભારે પોટલાને ડમ્બેલ્સ તરીકે ઉપયોગ કર્યો હતો. તપાસ બાદ જેલ ઓથોરિટી દ્વારા તેઓને કબજે કરવામાં આવ્યા હતા. દરેક આરોપી વિરુદ્ધ કેસની સંખ્યા ઘણી વધારે હોવાને કારણે હજારો પાના ચાર્જશીટ તૈયાર થઈ ગયા છે.
૭૮ આરોપીઓ સામે ૩૫ કેસ
આ કેસમાં ૭૮ આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે. અમદાવાદમાં ૨૦ એફઆઈઆર નોંધાઈ હતી. ૧૯ વિસ્ફોટોની સાથે, એક બોમ્બ એવો હતો જે ફૂટ્યો નહોતો. આવી જ રીતે પોલીસે આ મામલે સુરતમાં ૧૫ એફઆઈઆર નોંધી હતી. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સામે તમામ ૩૫ કેસોમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આને કારણે, 12 વર્ષથી ચાલતા કેસમાં મોટી સંખ્યામાં ચાર્જશીટ પેપરો એકત્ર થયા હતા.