જૂનાં વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ એટલે કે એચએસઆરપી લગાવવાની મુદત ૩૧ ઓગસ્ટના રોજ પૂરી થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદ શહેરમાં જ આઠ લાખ જેટલાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી છે.
રાજ્યનાં એક કરોડથી વધારે વાહનોમાં જૂની નંબર પ્લેટ બદલવાની હજુ પણ બાકી છે. વાહનમાલિકો જાગૃત થઈને એચએસઆરપી લગાવે તે માટે આરટીઓ દરરોજ ટ્રાફિક પોલીસને સાથે રાખીને શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્પેશિયલ એચએસઆરપી ડ્રાઇવ કરી રહી છે. તેથી આવા વાહન માલિકોએ હવે આકરો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં તેમનાં વાહન જપ્ત પણ થઈ શકે છે.
રાજ્યભરમાં અત્યાર સુધીમાં લાખો વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી હોઈ ફરી એક વાર મુદતમાં વધારો કરવો પડે તેવી એક લાગણી હતી, પરંતુ અત્યાર સુધી અનેક વખત એચએસઆરપી લગાવવાની મુદતમાં વધારો કર્યા બાદ હવે વાહન વ્યવહાર વિભાગ ફરી એક વખત મુદત વધારો કરવાના મૂડમાં નથી.
એક અંદાજ મુજબ રાજ્યનાં અઢી કરોડ વાહનોમાંથી અત્યાર સુધીમાં માત્ર ૪૦ લાખ જેટલાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લાગી છે. આમ છતાં સંખ્યાબંધ જૂનાં ટુવ્હીલર અને ફોર વ્હીલરમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી શકાઈ નથી.
એકલા અમદાવાદ શહેરમાં જ આઠ લાખ જેટલાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ પાસે ઘણાં જૂનાં વાહનોના ડેટા પણ ઉપલબ્ધ નથી. ઘણાં વાહનો બહારગામ પણ શિફ્ટ થઇ ગયાં છે એટલે ચોક્કસ આંકડો મેળવવો આરટીઓ માટે પણ મુશ્કેલ છે.