ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના જોશીમઠ વિકાસખંડની ઉર્ગમ ઘાટીમાં મખમલી ઘાસના મેદાનની વચ્ચે ભગવાન નારાયણનું એક એવું મંદિર છે, જેના કપાટ વર્ષમાં માત્ર એક જ દિવસ રક્ષાબંધનના તહેવાર પર ખુલે છે. એ જ દિવસે સુર્યાસ્ત પહેલા સાંજે લગભગ ચાર વાગે મંદિરના કપાટ બંધ થઇ જાય છે.
માન્યતા એવી છે કે વર્ષના 364 દિવસ ત્યાં દેવર્ષિ નારદ ભગવાન નારાયણની પુજા-અર્ચના કરે છે. મનુષ્યોને માત્ર એક જ દિવસ પુજાનો અધિકાર છે. આ વખતે કપાટ શ્રાવણ પુર્ણિમા પર 15 ઓગસ્ટના રોજ ખોલવામાં આવશે. સમુદ્રતટથી 13 હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત ભગવાન વંશીનારાયણ મંદિરનુ નિર્માણ કાળ છઠ્ઠીથી લઇને આઠમી સદીના મધ્યને માનવામાં આવે છે.
એવી પણ માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ પાંડવ કાળમાં થયુ હતું. કત્યુરી શૈલીમાં બનેલા 10 ફુટ ઉંચા આ મંદિરનું ગર્ભગૃહ વર્ગાકાર છે, અહીં ચતુર્ભુજ રુપમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. ખાસ વાત એ છે કે આ મુર્તિમાં ભગવાન નારાયણ અને ભગવાન શિવ બંનેના દર્શન થાય છે. મંદિરમાં ભગવાન ગણેશ અને વન દેવીઓની મુર્તિઓ પણ હાજર છે.
મંદિરનો રસ્તો દુર્ગમ છે. અહીં પહોંચવા માટે બદરીનાથ હાઈવે પર હેલંગથી ઉર્ગમ ઘાટી સુધી આઠ કિમીનું અંતર વાહનથી કાપવું પડે છે, ત્યારબાદ શરુ થાય છે 12 કિમીની મુશ્કેલીઓ ભરેલી સફર. વંશીનારાયણ મંદિરમાં માણસને ફક્ત એક દિવસ પુજાનો અધિકાર આપવા પાછળ પણ રોચક કહાની છે.
એવું કહેવાય છે કે એકવાર ભગવાન વિષ્ણુએ રાજા બલિના આગ્રહ પર પાતાળ લોકમાં તેમના દ્વારપાલની જવાબદારી સંભાળી. ત્યારે ઘણા દિવસો સુધી ભગવાનના દર્શન ન થઇ શકવાના કારણે માતા લક્ષ્મી દેવર્ષિ નારદ પાસે વંશીનારાયણ ધામ પહોંચ્યા અને તેમને ભગવાન નારાયણ ક્યાં છે તેમ પુછ્યું.
દેવર્ષિ નારદે જણાવ્યું કે ભગવાન પાતાળમાં રાજા બલિના દ્વારપાળ છે. તેમણે એમ પણ જણાવ્યું કે પાતાળમાંથી ભગવાનને મુક્ત કરાવવાની એક જ યુક્તિ છે કે તમે શ્રાવણ પુર્ણિમાના રોજ રાજા બલિના કાંડા પર રાખડી બાંધીને ભગવાનને માંગી લેજો. માતાએ પાતાળલોકનો રસ્તો જોયો ન હોવાના કારણે દેવર્ષિ માતા લક્ષ્મી સાથે પાતાળલોક ગયા. આ કારણે તેઓ શ્રાવણી પુર્ણિમાએ ભગવાનની પુજા ન કરી શક્યા. ત્યારે ગામના લોકોએ વંશીનારાયણ મંદિરમા પુજા કરી ત્યારથી આ પંરપરા ચાલી આવે છે.