PMમોદીએ ખેડૂત સન્માન નિધિનો 8મો હપ્તા જાહેર કરતા કહ્યું, 'આપણાં સામે એક અદ્રશ્ય દુશ્મન છે.'
કોરોના વાયરસની લહેર વચ્ચે પીએમ મોદીએ તોડી ચૂપ્પી
કિસાન સન્માન નિધિના 8માં હપ્તાને જાહેર કરતી વખતે આપ્યું નિવેદન
દેશવાસીઓ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેને હું પણ અનુભવિ રહ્યો છું: PM
પીએમ મોદીએ દેશવાસીઓને વેક્સીન લેવા કરી અપીલ
કોવિડ-19ને 'અદ્રશ્ય દુશ્મન' ગણાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારીની બીજી લહેર પર કહ્યું છે કે તે દેશવાસીઓની મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિના આઠમાં હપ્તાને જાહેર કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, '100 વર્ષ બાદ આવેલી આ મહામારી દુનિયાની પરીક્ષા લઈ રહી છે.' તેમણે કોવિડ-19ને 'અદ્રશ્ય દુશ્મન' ગણાવતા કહ્યું કે આપણે ઘણા સ્વજનોને ખોઈ ચુક્યા છીએ.
પીએમ મોદીએ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી. તેમણે જણાવ્યું, 'બચાવનું એક સૌથી મોટુ માધ્યમ છે, કોરોના વેક્સીન. કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર મળીને સતત પ્રયત્ન કરી રહી છે કે જલ્દીમાં જલ્દી દેશવાસીઓને વેક્સીન આપવામાં આવી શકે.' પીએમે આગળ જણાવ્યું કે, 'દેશભરમાં અત્યાર સુધી લગભગ 18 કરોડ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે.'
દવાઓની કાળાબજારી રોકે રાજ્ય સરકાર
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 'લેટેસ્ટ ટેક્નીકની સાથે ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. સેના સંપૂર્ણ તાકાતની સાથે આ મુશ્કેલ ઘડીમાં ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવામાં લાગી ગઈ છે.' પીએમ મોદીએ જણાવ્યું કે, 'દેશમાં ફાર્મા સેક્ટર મોટા પાયે દવાઓ બનાવે છે. હું રાજ્ય સરકારને અપીલ કરૂ છું કે દવાઓ અને મેડિકલ સપ્લાયની કાળાબજારી રોકવા માટે કડક કાયદો બનાવે.'
પીએમ મોદીએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી
મોદીએ જણાવ્યું કે કોવિડ-19 હવે ગ્રામીણ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે. તેમણે ગ્રામ પંચાયતોને પોતાના વિસ્તારમાં જાગૃતતા અને સેનિટેશનને વધારવા સૂચન કર્યું છે. મોદીએ કહ્યું કે ભારત એ દેશ નથી જે મુશ્કેલ સમયમાં આશા ખોઈ બેસે. તેમણે જણાવ્યું, 'મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ પડકારને જરૂર પુરો કરીશું.' પીએમ મોદીએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે મેડિકલ સારવાર લેવામાં મોડુ ન કરો. જેવા લક્ષણ દેખાય તરત ડોક્ટરનો સંપર્ક કરો.
બંગાળના ખેડૂતોને પહેલી વખત મળ્યા નાણાં
કિસાન સન્માન નિધિના 8માં હપ્તાને જાહેર કરતા પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના ખેડૂતોને પહેલી વખત આ સુવિધાનો લાભ મળવાનું શરૂ થયું છે. તેમણે જણાવ્યું, 'આજે અખાત્રીજનો પવિત્ર પર્વ છે, કૃષિના નવા ચક્રની શરૂઆતનો સમય છે અને આજે જ લગભગ 19 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.' તેનો લાભ લગભગ 10 કરોડ ખેડૂતોને થશે.