જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 (Article 370)ને હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચેના તણાવભર્યા માહોલ વચ્ચે પાકિસ્તાની સેનાની નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની વાયુસેના લદ્દાખ સીમા પાસે પોતાના જેટ વિમાન તહેનાત કરી રહી છે.
આ પાકિસ્તાની લડાકૂ વિમાન ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની સીમા પાસે પાકિસ્તાની સ્કાર્દૂ એરબેઝ પર તહેનાત કરવામાં આવી રહ્યા છે. તેના પર સેના અને ઇન્ટેલિજેન્સ એજન્સી એલર્ટ પર છે.
સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે, 'પાકિસ્તાન વાયુસેનાના ત્રણ સી-130 પરિવહન વિમાનોને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ સીમા પાસે પાકિસ્તાનના સ્કાર્દૂ એરબેઝ પર તહેનાત કરવામાં આવ્યા છે. આ સમાચાર મળ્યા બાદ સંબંધિત ભારતીય એજન્સીઓ સીમાવર્તી ક્ષેત્રો (Border Area)માં પાકિસ્તાનીઓની તમામ હરકતો પર નજર રાખી રહી છે.'
સૂત્રો અનુસાર, પાકિસ્તાની બેસ પર પહોંચાડવામાં આવી રહેલા ઉપકરણ, લડાકૂ વિમાનોની મદદ માટે સહાયક ઉપકરણ હોઇ શકે છે. સૂત્રો મુજબ, એ વાતની વધારે સંભાવના છે કે પાકિસ્તાન લદ્દાખ સીમા પાસેના સ્કર્દૂ એરપોર્ટ પર પોતાના જેએફ-17 વિમાન તહેનાત કરી શકે છે.
પાકિસ્તાની ગતિવિધ પર ખાસ નજર
ભારતીય વાયુસેના અને થલસેના સાથે ભારતીય જાસૂસી એજન્સીઓ પાકિસ્તાની વાયુસેનાની હરકતો પર કડક નજર રાખી રહી છે. કેમકે તે પાકિસ્તાની વિસ્તારની લગભગ આખી લંબાઇ અને પહોળાઇ જોઇ શકે છે.
સૂત્રો અનુસાર પાકિસ્તાન પોતાની વાયુસેના અને આર્મીના એક યુદ્ધાભ્યાસની યોજના બનાવી રહ્યું છે. અને આ યુદ્ધાભ્યાસ દરમિયાન તે પોતાના જેટ વિમાનોને ફોરવર્ડ બેઝ પર શિફ્ટ પણ કરી શકે છે. એવામાં તે પાકિસ્તાની ષડયંત્ર તરફ ઇશારો કરી રહ્યું છે.
પાકિસ્તાનની જેટ C-130નો ઇતિહાસ
પાક. એરફોર્સ લાંબા સમયથી એમેરિકી C-130 વિમાનના એક જુના મોડલનો ઉપયોગ કરી રહ્યું છે. સ્કાર્દૂ પાકિસ્તાન વાયુ સેનાનું એક ફોરવર્ડ બેઝ છે. તેનો ઉપયોગ તે ભારત સાથે સીમા પર પોતાની સેનાના અભિયાનોનું સમર્થન કરવા માટે કરે છે.
પાકિસ્તાન જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવા અને જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાના ભારતના નિર્ણયને એક મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યું છે.