કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને લઈને ધોરણ 1માં પ્રવેશના ધારાધોરણ બદલાયા છે. ગુજરાત બોર્ડની શાળામાં અત્યાર સુધી 5 વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં પ્રવેશ અપાતો હતો. પરંતુ નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.
નવી શિક્ષણ નીતિને લઈને અગત્યના સમાચાર
ધોરણ 1માં પ્રવેશના ધારાધોરણ બદલાયા
2023-2024થી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે
ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. ત્યારે હવે વર્ષ 2023-24થી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે. 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે 5 વર્ષની ઉંમર જરૂરી છે. 20-21, 21-22, 22-23માં 5 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ મળશે. 2023-24થી પ્રવેશ લેવા જુનમાં 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે.
ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર
થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં નવા નિયમ અનુસાર, હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણાય. ધો. 1થી 5 અને ધો. 6થી 8માં અલગ-અલગ સિનિયોરિટી ગણાશે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.
શિક્ષક પત્ની કે પતિને 3 વર્ષમાં જ બદલીની તક મળી શકશે
ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂંક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીના 3 વર્ષ પૂર્ણ થયા બાદ તેમના શિક્ષક પત્ની કે પતીને બદલીનો લાભ આપવામાં આવશે.
ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂંક કરવામાં આવશે. આ સિવાય જિલ્લાફેર બદલી સમયે મહિલાનો મોટો લાભ મળશે કે તેમના પ્રતિનિયુક્તિ દરમિયાનનું સ્થળ નહીં પરંતુ લગ્ન નોંધણી સ્થળને ધ્યાનમાં લેવાશે. આનો તમામ સરકારી કર્મચારીની શિક્ષક પત્નીઓને લાભ મળશે. મહત્વનું છે કે અગાઉ માત્ર સચિવાલયના કર્મચારીઓની પત્નીને લાભ મળતા હતો.