મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોએ એક સ્કૂલ અને ગામ પર હુમલો કરી દીધો. જેમાં 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં છે. આ સિવાય અનેક લોકો ઘાયલ પણ થયા છે.
મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરો દ્વારા હુમલો
સ્કૂલ અને ગામ પર હુમલો કરતા 7 બાળકોના મોત
તખ્તાપલટ બાદ મ્યાનમારની સ્થિતિ વણસી
સ્કૂલ એડમિનિસ્ટ્રેટર અને એક સપોર્ટ વર્કરે સોમવારે જાણકારી આપતા જણાવ્યું કે, મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોએ એક સ્કૂલ અને ગામ પર હુમલો કરતા 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારના રોજ દેશના બીજા સૌથી મોટા શહેર મંડાલેથી અંદાજે 110 કિમી દૂર તબાયિનના લેટ યૉટ કોન ગાવમાં થયો હતો.
બે Mi-35 હેલિકોપ્ટરે ભારે હથિયારો સાથે સ્કૂલ પર હુમલો કરી દીધો
સ્કૂલના એક પ્રશાસકે જણાવ્યું હતું કે ગામની ઉત્તરમાં ચારમાંથી બે Mi-35 હેલિકોપ્ટરે મશીનગન અને ભારે હથિયારો સાથે સ્કૂલ પર હુમલો કરવાનું શરૂ દીધું. બાદમાં વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ફ્લોર પરના વર્ગખંડોમાં સુરક્ષિત સ્થાનો પર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેઓએ કહ્યું કે શાળામાં છ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં છે અને નજીકના ગામમાં એક 13 વર્ષના છોકરાની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી.
તખ્તાપલટ બાદ મ્યાનમારની સ્થિતિ વણસી
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલા તખ્તાપલટ બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. મ્યાનમારમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં પણ વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2021ના તખ્તાપલટ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે તેનું વિદેશી દેવું વધ્યું છે અને કોવિડ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર કરી છે.
હજારોની સંખ્યામાં લોકો દેશ છોડી રહ્યાં છે
હજારો લોકો દેશ છોડી રહ્યાં છે. ત્યાંના લોકો હાલ ભારતમાં આશરો લઈ રહ્યાં છે. ભારતમાં મિઝોરમમાં અત્યાર સુધીમાં હજારો લોકો પ્રવેશી ચૂક્યા છે. ગયા મહિને મિઝોરમના એક સ્થાનિક નેતાએ આ અંગે માહિતી આપી હતી. જોખાવથર ગ્રામ પરિષદના પ્રમુખ લાલમુઆનપુઈયાએ એક ખાનગી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, રવિવારથી મ્યાનમારમાંથી સેંકડો લોકો મિઝોરમમાં પ્રવેશી ચૂક્યા છે.