ભારતમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.
ભારતમાં ખાનગી હોસ્પિટલમાં રૂ.250માં વેક્સિન અપાશે
વેક્સિનની કિંમત રૂ.150 અને રૂ.100 અલગથી વહીવટી ચાર્જ
સરકારી હોસ્પિટલમાં મફતમાં અપાશે રસી
સામાન્ય લોકોને આપવામાં આવશે રસી
ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે અને હવે રસીકરણનો બીજો તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે.
કોને મળશે રસી?
પહેલી માર્ચથી ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા ચરણની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે. બીજી તરફ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી મળવાની શરૂઆત થઈ જશે.
કેટલા રૂપિયા ચૂકવવા પડશે
સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં મફતમાં રસી આપવાનું એલાન કરવામાં આવ્યું છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં રસી લેવા માટે રૂપિયા ચૂકવવાના રહેશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જે જાણકારી ટ્વિટરના માધ્યયમથી શેર કરી છે તે અનુસાર ખાનગી હોસ્પિટલમાં કુલ 250 રૂપિયામાં રસીનો એક ડોઝ આપવામાં આવશે.
ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસની રસી આપવા માટે 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને વહીવટી ચાર્જ અલગથી 100 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે એમ કુલ 250 રૂપિયામાં એક ડોઝ આપવામાં આવશે.
વેક્સિનનેશન 2.0માં શું છે ખાસ?
ભારતમાં 16મી જાન્યુઆરીથી કોરોના વાયરસની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને આ રસી આપવામાં આવી છે. બધા જ કેન્દ્રો પર મફતમાં આ રસી આપવામાં આવી છે અને એક કરોડથી પણ વધારે લોકોને રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.
હવે આ અભિયાન બીજા ચરણમાં આવી ગયું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના સુધીમાં 30 કરોડ લોકોને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવી શકે છે.
બીજા ચરણમાં 10 હજાર સરકારી સેન્ટર પર રસીના ડોઝ આપવામાં આવશે જેમાં મફતમાં રસી મળશે
હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી નાણાં ચૂકવીને લઈ શકાશે. જોકે તેના કિંમતની જાહેરાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. 20 હજાર જેટલા પ્રાઇવેટ સેન્ટર પર પણ આ રસી મળશે.
બીજા ચરણમાં લોકોએ જાતે જ CO-WIN એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપમાં તમારા લોકેશન મુજબ સમય-જગ્યા અને અન્ય જાણકારીઑ આપવામાં આવશે.
આ એપ સિવાય હોસ્પિટલો તથા કોમન સર્વિસ સેન્ટરમાં પણ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા મળશે
આ બધી જ પ્રક્રિયામાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે
લોકોને પ્રાઇવેટ અથવા સરકારી સેન્ટરની પસંદગી કરવાની તક આપવામાં આવશે.
45 વર્ષથી વધુ વયના કયા લોકોને મળી શકશે વેક્સિન?
સરકારે એલાન કર્યું છે કે 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસી આપવામાં આવશે ત્યારે ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે તે કેટેગરીમાં કોણ કોણ આવશે તેના પર સરકાર આધિકારિક એલાન કરશે.