સરકારે વિદેશમાં ફસાયેલા Overseas Citizens of India (OCI) કાર્ડ ધારકોની ચાર કેટેગરી વાળા લોકોને નિયમોમાં છૂટ આપી છે. આ નિર્ણયથી તેઓ ભારત પાછા આવી શકશે. ગૃહ મંત્રાલયે શુક્રવારે તેનું પરિપત્ર જાહેર કર્યું હતું.
શું છે OCI કાર્ડ
OCI કાર્ડ એ વિદેશમાં રહેતા ભારતીયો આપવામાં આવે છે. આ કાર્ડને કારણે તેમને વિઝા વગર આવવા-જવાની પરવાનગી મળે છે. જો કે કોરોના વાયરસને પગલે સરકારે હમણાં નિયમો કડક કર્યા છે.
આ 4 કેટેગરીને મળશે ફાયદો
જેઓ તેમના 18 વર્ષથી નાના બાળકો સાથે ભારત આવવા માંગે છે. આ બાળકોનો જન્મ વિદેશમાં થયો હશે તો પણ ચાલશે.
કુટુંબમાં કોઈની મૃત્યુ, આરોગ્ય, કટોકટી જેવી ઇમરજન્સીના કારણે આવવા માંગે છે.
પતિ અથવા પત્નીમાંથી કોઈ એક પાસે OCI કાર્ડ હોય અને પાર્ટનર ભારતમાં રહેતા હોય અને ભારતમાં તેમનું કાયમી ઘર છે.
વિદેશોમાં ભણતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમના માતા પિતા ભારતમાં રહે છે.
OCI કાર્ડહોલ્ડર્સે રાહતની અપીલ કરી હતી
નોંધનીય છે કે ભારત સરકાર ફસાયેલા ભારતીયોને દરિયાઇ જહાજો અને વિમાન દ્વારા વિદેશમાંથી પાછા લાવી રહી છે. જો કે લોકડાઉનમાં નિયમોમાં ફેરફારને કારણે ઘણા OCI કાર્ડહોલ્ડર્સ ટિકિટ મેળવી શક્યા નથી. કેટલાક પરિવારો એવા પણ હતા જેમાં પતિ-પત્નીને ટિકિટ મળી ગઈ પણ બાળકો વિદેશમાં જન્મેલા હોવાને કારણે મંજૂરી મળી નહીં. આવા લોકોએ સરકારને નિયમોમાં છૂટછાટ આપવા માટે વિનંતી કરી હતી.
સરકારી આંકડા પ્રમાણે જુદા જુદા 98 દેશમાં વસતા 2 લાખ 60 હજાર ભારતીયોએ ગૃહ વિભાગને દેશમાં પાછા ફરવા માટે નોંધણી કરાવી છે. સરકાર આ લોકોનું પ્રાથમિકતા પ્રમાણે વર્ગીકરણ કરી રહી છે જેમાં કટોકટમાં ફસાયેલા અને આર્થિક અને આરોગ્ય જેવી બાબતોમાં ફસાયેલા લોકોને જેમ કે ગર્ભવતી મહિલાઓ વગેરેને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.