બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ જિલ્લામાં નોંધાયા ચાંદીપુરાના વધુ 3 કેસ, એક પોઝિટિવ
Last Updated: 10:37 AM, 11 July 2026
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલ ત્રણેય બાળકોની સારવાર વડનગર GMERS હોસ્પિટલમાં ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ ત્રણ બાળકોમાંથી એક બાળકનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય બે બાળકોના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સારવાર લઈ રહેલા ત્રણ બાળકોમાંથી એક બાળક મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનો છે, જ્યારે અન્ય બે બાળકો સાબરકાંઠા જિલ્લાના છે. પોઝિટિવ આવેલા બાળકની સારવાર વડનગર GMERS હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે.
ADVERTISEMENT
વડનગર GMERS હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. સુનિલ ઓઝાએ ત્રણ કેસોની પુષ્ટિ કરતાં જણાવ્યું કે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય બે બાળકોના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્રણેય બાળકોની સારવાર નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
ADVERTISEMENT
સિવિલ વડનગરના ડૉ. અર્ચના ભોજકે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય (જીણી માખી) દ્વારા ફેલાય છે. આ માખી સામાન્ય રીતે લીપણવાળા ઘરોમાં જોવા મળે છે. જો નાના બાળકો આખા શરીર ઢાંકતા કપડાં ન પહેરે તો આવી માખી તેમને કરડી શકે છે અને વાયરસનો ચેપ લાગી શકે છે. આ વાયરસ ખાસ કરીને નાના બાળકોમાં વધુ જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડૉ. અર્ચના ભોજકના જણાવ્યા પ્રમાણે ચાંદીપુરા વાયરસના લક્ષણો ખૂબ ઝડપથી ગંભીર બની શકે છે. બાળકને અચાનક ખૂબ તાવ આવવો, ઠંડી લાગવી, ઉલટી થવી, આંચકી આવવી, બેભાન જેવી સ્થિતિ સર્જાવવી અથવા બાળક ખૂબ જ ટૂંકા સમયમાં ગંભીર રીતે બીમાર થઈ જવું જેવા લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે. સમયસર સારવાર દર્દીના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વની છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસથી બચવા માટે ઘરની આજુબાજુ નિયમિત સાફસફાઈ રાખવી ખૂબ જરૂરી છે. જો ઘર લીપણવાળું હોય અને દિવાલો અથવા જમીનમાં તિરાડો કે ખાલી જગ્યા હોય તો તેને તરત જ પુરાવી દેવી જોઈએ જેથી સેન્ડફ્લાયનો વસવાટ ન થાય. નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા, તેમને આખા શરીરને ઢાંકે તેવા ફુલ સ્લીવ્સના કપડાં પહેરાવવા અને ઘરમાં સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ફરીવાર સિંહનો હુમલો, ગિરનારના 50 પગથિયેથી જ બાળકને સિંહ ઉપાડી ગયો
આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ અંગે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવો. જો બાળકમાં તાવ, ઉલટી, આંચકી, બેભાન જેવી સ્થિતિ અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવાને બદલે તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. સમયસર સારવાર અને સાવચેતી દ્વારા આ વાયરસ સામે અસરકારક રીતે લડી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.