મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં મુકાયા છે, શિવસેનામાં શરૂ થયેલા આંતરિક વિખવાદે આખી સરકાર પર સંકટ ઉભુ કરી દીધું છે. ત્યારે શું અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં નથી? ત્યારે જાણો આવું શા માટે માનવામાં આવી રહ્યું છે....
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની સ્થિતિ
સંકટમાં મહાવિકાસ અઘાડી સરકાર
ઉદ્ધવ ઠાકરે vs એકનાથશિંદે સામસામે
બાલા સાહેબ ઠાકરે વિશે એવું કહેવાતું કે તેમના એક અવાજ પર આખું મુંબઈ થંભી જતું. માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર પુરતુ જ નહીં, દિલ્હી સુધી શિવસેનાની નોંધ લેવાતી. પરંતુ આજે હાથમાંથી રેતી સરકે તેમ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી શિવસેનાની પકડ જતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર લગભગ તૂટવાના આરે છે. એકનાથ શિંદે મોટાભાગના શિવસેના સહિતના કેટલાક ધારાસભ્યોને લઇને ગુવાહાટી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટ ઉકેલવાના બદલે ગુંચવાઇ રહ્યું છે. ઉદ્ધવ સરકારની અધોગતિ શરૂ થઇ છે પરંતુ શિવસૈનિકો દ્વારા ઉગ્ર વલણ ક્યાંય જોવા મળી રહ્યું નથી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, એકનાથશિંદેનો જાણે શિવસૈનિકો સમર્થન કરી રહ્યા હોય.
1. સમર્થનથી વધારે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધારે
ઉદ્ધવસમર્થનથી વધારે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધારે છે. ઉદ્ધવ સરકાર વિરૂદ્ધ ભાજપના ધારાસભ્ય 106, બળવાખોર ધારાસભ્ય 33-34, મનસેના 1 ધારાસભ્ય, અપક્ષના 13 ધારાસભ્ય અને અન્ય પક્ષના 6 ઉમેદવાર છે. આમ કુલ 159 ઉદ્ધવની સામે છે. તો ઉદ્ધવ સરકારની સાથે શિવસેના 22 ધારાસભ્ય, NCPના 53 ધારાસભ્ય, કોંગ્રેસના 44 ધારાસભ્ય અને અન્ય 9 ધારાસભ્ય છે. આમ કુલ 128 ઉદ્ધવની સામે છે.
ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેએ દાવો કર્યો કે તેમણે પોતાની પાર્ટીના 34 ધારાસભ્યોનું સમર્થન છે. શિંદે દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર પર શિવસેનાના 34 ધારાસભ્યોના હસ્તાક્ષર છે. એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહારાષ્ટ્ર વિધાનસભાના નાયબ સ્પીકરને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે એકનાથ શિંદે, જેમને શિવસેનાએ વર્ષ 2019માં વિધાનસભા દળના નેતા નિયુક્ત કરાયા હતા, તેઓ આ પદ પર બન્યા રહેશે. આ પત્રમાં અપક્ષ સહિતના 34 ધારાસભ્યોનું સમર્થન છે. જોકે, આ સંખ્યા હવે 50ની નજીક ગણાઈ રહી છે, જેમાં કેટલાક અપક્ષના પણ છે. મહારાષ્ટ્રની 288 સભ્યોની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના 55 ધારાસભ્ય છે.
2. ઉદ્ધવ ઠાકરેનું કૂણું વલણ
ધારાસભ્યની ચૂંટણી લડ્યા વગર અવિશ્વસનિય રાજકીય સમીકરણના સહારે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચનારા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે તમામ રાજકીય મોહથી પોતાને અલગ કરી લીધાનો દાવો કર્યો. હંમેશા તેજ તોખાર રીતે પોતાનો મત વ્યક્ત કરતા ઉદ્ધવ ઠાકરે બુધવારે નરમ પડી ગયા હતા. તેમણે ભાવુક થઇને ધારાસભ્યોને અપીલ કરી હતી. ઉદ્ધવે કહ્યું હતું જો બળવાખોર ધારાસભ્યો કહે તો હું મુખ્યમંત્રી પદ જ નહીં, શિવસેનાના અધ્યક્ષ પદનો ત્યાગ કરવા પણ તૈયાર છું. ધારાસભ્યો આવીને મને મળે, તેઓ કહે તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. આમ, ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેના બળવા બાદ નરમ દેખાઈ રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2022
3. શિવસૈનિકોનું પ્રદર્શન પણ દેખાતું નથી
હાલ મહારાષ્ટ્ર રાજકીય સંકટ ચાલી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. શિંદે અને ધારાસભ્યોની બળવાખોરી બાદ પણ મહારાષ્ટ્રમાં શિવસૈનિકોમાં પ્રદર્શન જોવા મળી રહ્યું નથી. અન્ય અનેક ઘટનાઓ એવી બની હતી કે શિવસેના પોતાની આવી પડે ત્યારે ઉગ્ર રીતે આંદોલન કરતી નજરે પડે છે. પરંતુ આ બળવાખોરીના કેસમાં ઉંધુ રંધાઈ રહ્યું છે. એકનાથ શિંદેના સમર્થનમાં મોટાપાયે શિવસૈનિકો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ ગણ્યાગાંઠ્યા સમર્થકો દ્વારા ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. સાંગલીમાં શિવસૈનિકોએ ભાજપ ધારાસભ્યની ઓફિસે હંગામો કર્યો હતો. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ દેવેન્દ્ર ફડણવીસને ફરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.
4. હિંદુત્વના નામ પર ધારાસભ્યોની બળવાખોરી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની રાજનીતિ ફરી એક વખત હિન્દુત્વ પર આવીને અટકી ગઈ છે. શિવસેના સાથે બળવો કરનારા કટ્ટર શિવસૈનિક એકનાથ શિંદે સતત ખુદને બાળા સાહેબના પાક્કા શિવ સૈનિક ગણાવતા તેમને હિન્દુત્વને આગળ લઇ જવાની વાત કહી રહ્યા છે. એક નાથ શિંદેએ બુધવારે કહ્યું કે, અમે બાળા સાહેબના શિવ સૈનિક છીએ. અમે શિવસેના નથી છોડી અને અમે શિવસેના નહીં છોડીએ. પરંતુ અમે બાળા સાહેબની વિચારધારાના આધાર પર રાજનીતિ કરવા જઇ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે અમે બાળાસાહેબની વિચારધારાને આગળ વધારી રહ્યા છીએ. અને તમે તમામ જાણો છો કે બાળાસાહેબે આ દેશને હિન્દુત્વની વિચારધારા આપી છે. અમે હિન્દુત્વ સાથે બાંધછોડ નહીં કરીએ. તો ઉદ્ધવે કહ્યું કે, આ શિવસેના બાળા સાહેબની શિવસેના જ છે. હિંદુત્વ અને શિવસેના એક સિક્કાની બે બાજુ છે.
શિંદેનો દાવો છે કે, છેલ્લા અઢી વર્ષમાં MVA સરકારે માત્ર ગઠબંધનના પક્ષોને ફાયદો પહોંચાડ્યો અને શિવસૈનિકોને ભારે નુકસાન થયું. સહયોગી પક્ષો મજબૂત થઇ રહ્યા છે, શિવસેના અને શિવસૈનિકોનું વ્યવસ્થિત રીતે ગેરરીતિ કરવામાં આવી રહી છે. પાર્ટી અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે અસ્વાભાવિક મોર્ચાથી બહાર નિકળવું જરૂરી છે. મહારાષ્ટ્રના હિતમાં હવે નિર્ણય લેવાની જરૂરિયાત છે.
5. સંજય રાઉતની સુપર CMની ભૂમિકાથી નારાજ
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતાઓ છે. ત્યારે બળવાખોર એકનાથ શિંદે અને ધારાસભ્યોની નારાજગીનું અન્ય એક કારણ એ પણ છે કે સંજય રાઉત. હા, સંજય રાઉત શિવસેનાના કિંગમેકર ગણાય છે. તો રાઉતની સુપર CM તરીકે ભૂમિકાના કારણે પણ આ બળવાખોરી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એકનાથ શિંદેની આગેવાની વાળા બળવાખોર ધારાસભ્યોએ હવે પોતાનું વલણ કડક બનાવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોણ કિંગમેકર રહે છે અને કોણ સત્તાનો સ્વાદ ચાખે છે.