મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવેસના સાંસદ સંજય રાઉત વચ્ચેની મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. સંજય રાઉતે કહ્યું હતું કે તેમણે સામનામાં એક ઇન્ટરવ્યુંને લઇને ફડણવીસ સાથે મુલાકાત કરી હતી.
સંજય રાઉત શિવસેનાના મુખપત્ર 'સામના' ના એક્ઝિક્યૂટિવ એડિટર છે. જ્યારે બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ મુલાકાતને લઇને મોટું નિવેદન આપ્યું છે. ચંદ્રકાંત પાટિલે કહ્યું કે જ્યારે બે અલગ-અલગ રાજકીય દળોના બે મોટા નેતા મળે છે, ત્યારે ચા-બિસ્કૂટ પર તો ચર્ચા નહી થઇ હોય. આવી મુલાકાતમાં રાજનીતિને લઇને ચર્ચા થતી હોય છે.
રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉત વચ્ચે શનિવારના રોજ થયેલી મુલાકાત રાજકીય હતી, પરંતુ આ બેઠક અનિર્ણાયક રહી હતી. ચંદ્રકાંત પાટિલે મરાઠીમાં કહ્યું કે રાજ્યમાં કોઇ મધ્યસ્થી ચૂંટણી ઇચ્છતું નથી, પરંતુ અસ્થિરતાથી બહાર નિકળવા માટે કોઇ રસ્તો નથી. એક સારી સવાર બધુ બદલાઇ જશે.
જો કે આ મુલાકાત બાદ અટકળોનું બજાર વધારે ગરમ થઇ ગયું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવસેના સંજય રાઉતે શનિવારના રોજ કેટલાક ખાસ મુદ્દાઓને લઇને દેવેન્દ્ર ફડણવીસ સાતે મુલાકાત કરી હતી.
રાઉતે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા છે અને બિહાર ચૂંટણીને લઇને ભાજપના પ્રભારી છે. અમારી વચ્ચે વૈચારિક મતભેદ હોય શકે, પરંતુ અમે દુશ્મન નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અમારી આ બેઠક અંગે જાણકારી છે.
શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની બેઠક પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ બેઠક અંદાજે એક કલાક ચાલી હતી. ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બરમાં શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને NCP અને કોંગ્રેસની સાથે હાથ મિલાવી લીધો હતો. ત્રણેય પાર્ટીએ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)નામથી રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવી છે.